રાજકોટના રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં છઠ્ઠા માળે ઘરમાં આગ: પત્ની વર્ષાબા સરવૈયાનું ઘટના સ્થળે જ મોત: પુત્ર, પુત્રી અને પતિ યોગીરાજસિંહ સરવૈયા દાઝ્યા: ગૃહકલેશને કારણે ઘટના: મહિલાએ આત્મહત્યા કર્યાની ચર્ચા
રાજકોટઃ શહેરના રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક ન. 605માં સાંજે આગ લાગતા રેલનગર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. જો કે ફાયરબ્રિગેડ ટીમ પહોંચી એ પહેલાં લોકોએ આગ બુઝાવી નાખી હતી. આગમાં વર્ષાબા સરવૈયા ઉ.વ.32નું ઘટના સ્થળે જ ભડથું થઈ જતા મોત થયું હતું. તેમના પતિ યોગીરાજસિંહ જશવંતસિંહ સરવૈયા, પુત્ર અને પુત્રી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુત્રીનું નામ કૃતિકા ઉ.8, પુત્ર ઉર્વરાજસિંહ ઉ.2 છે.
છોકરો છોકરી સુતા હતા અને એ વખતે માતાએ અગ્નિસ્નાન કર્યું હતું. એ પછી બાળકો લપેટમાં આવી ગયા હતા. પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમણે પ્રાથમિક આવી વાત કરી છે.ઘટના બની ત્યાં આ પરિવાર વીસેક દિવસ પહેલા જ રહેવા આવ્યાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ એલ.એલ.ચાવડા, પીએસઆઈ કે.ડી.પટેલ સહિતનો સ્ટાફ પહોંચ્યો છે. વર્ષાબા દાઝતા તેમને ઠારવા જતા પતિ, સંતાનો દાઝી ગયાનું ચર્ચાય છે. બીજી ચર્ચાઓ પણ થઈ રહી હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. (ફોટો સંદીપ બગથરીયા)