રાજકોટ સિવિલના તબિબી શિક્ષકો કોવિડ સેવા-ઓપીડીથી દૂર રહ્યાઃ સાંજ સુધીમાં માંગણીઓ ઉકેલાઇ જવાની આશા
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં ૧૯૦ શિક્ષકો જુની માંગણીઓ ન સંતોષતા રાજ્યભરતના તબિબી શિક્ષકો સાથે હડતલામાં જોડાયાઃ બે અગ્રણી તબિબી શિક્ષકો ગાંધીનગર મિટીંગમાં પહોંચ્યાઃ કોવિડના દર્દીઓને અસર ન પડે એ રીતે સપોર્ટિંગ સેવા, વહિવટી વ્યવસ્થાથી પણ તબિબી શિક્ષકો અળગા
રાજકોટ પીડીયુ મેડિકલ હોસ્પિટલના તબિબી શિક્ષકો વિવિધ પ્રશ્નોનો નિવેડો ન આવતાં રાજ્યભરમાં શરૂ થયેલી હડતાલમાં સામેલ થયા છે અને નોન કોવિડ સેવાઓ, ઓપીડીથી દૂર રહ્યા છે. જુદા જુદા બેનર્સ સાથે તબિબી શિક્ષકોએ મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ વિરોધ કર્યો હતો (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૩: ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૦૦થી વધુ તબિબી શિક્ષકો (પ્રોફેસર્સ)ની અનેક પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હોઇ અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં વાજબી અને ન્યાયિક પ્રશ્નોનો હલ થયો ન હોઇ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી પ્રોફેસરો કે જે કોવિડ-૧૯માં નિરંતર ફરજ બજાવી રહ્યા છે તેઓ હડતાળના માર્ગે ચડ્યા છે. રાજ્યભરના સરકારી તબિબી શિક્ષકો આજથી હડતાલ પર હોઇ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો પણ કોવિડ વિભાગના દર્દીઓની સેવામાં અસર ન થાય એ રીતે હડતાલ પર ઉતર્યા છે. આજે તબિબી શિક્ષકો નોન-કોવિડ સેવા અને ઓપીડીમાં જોડાયા નથી. બીજી તરફ ગાંધીનગરમાં વાટાઘાટો શરૂ થઇ હોઇ કદાચ સાંજ સુધીમાં માંગણીઓ સંતોષાઇ જશે તો હડતાળનો સુખદ અંત આવી જશે તેવી શકયતા છે.
અગાઉ વહિવટી તંત્રએ પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. પણ આ વાતને અઠવાડીયુ થવા આવ્યું હોવા છતાં ઉકેલ આવ્યો ન હોઇ હવે રાજ્યની તમામ સરકારી તબિબી-ડેન્ટલ કોલેજના તબિબી શિક્ષકોએ ગઇકાલથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યાહતાંં. તેમજ આજે ૧૩મીએ નોન-કોવિડ સેવાથી આ તબિબી શિક્ષકો અળગા રહ્યા છે અને ઓપીડી સેવામાં પણ જોડાયા નથી. ં પ્રશ્ન નહિ ઉકેલાય તો આવતીકાલ ૧૪મીએ કોવિડ-નોનકોવિડ બંને સેવાથી તેઓ અલિપ્ત રહેશે. તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટ પીડીયુ મેકિડલ કોલેજના તબિબી શિક્ષકો વતી ડો. કમલ ડોડીયા, ડો. મુકેશ પટેલ, ડો. ઉમેદ પટેલે ડીન ડો. મુકેશ સામાણીને ગઇકાલે આ મામલે આવેદન પાઠવી આ અંગેની જાણ કરી હતી.
ડઝનથી પણ વધુ વણઉકેલ પ્રશ્નોને કારણે તબિબી શિક્ષકોને આ હડતાલ કરવા મજબુર થવું પડ્યું છે. જો કે તબિબી શિક્ષકો આંદોલન સંપુર્ણ રીતે શાંતિપુર્વક અને શિસ્તબધ્ધ રીતે કરી રહ્યા છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે એવું જાહેર કર્યુ હતું કે તબિબી શિક્ષકોના પ્રશ્નો-માંગણીઓ ઉકેલી નાંખવામાં આવી છે. આજે સવારથી ગાંધીનગરમાં તબિબી શિક્ષક આગેવાનોની વહિવટી તંત્ર સાથે બેઠક ચાલી રહી છે. જેમાં મોટા ભાગની માંગણીઓ ઉકેલાઇ ગયાનું કહેવાય છે. પરંતુ લેખિતમાં ઉકેલની ખાત્રી મળ્યા બાદ જ તબિબી શિક્ષકો હડતાલ સમેટશે તેમ જાણવા મળે છે.