હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં ભીલ વૃધ્ધ પ્રવિણભાઇએ ફાંસો ખાધોઃ બચી ગયા
વહેલી સવારે છતના હુકમાં દોરી બાંધી દેહ લટકાવ્યોઃ પુરાતત્વ ખાતાના નિવૃત કર્મચારી આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે જણાવતા નથી
રાજકોટ તા. ૧૩: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં પ્રવિણભાઇ રણછોડભાઇ મે (ઉ.૬૫) નામના ભીલ વૃધ્ધે વહેલી સવારે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. એ વખતે જ પરિવારના સભ્ય રૂમમાં આવી જતાં તાકીદે નીચે ઉતારી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં જીવ બચી ગયો હતો.
પ્રવિણભાઇ મે અગાઉ પુરાતત્ત્વ ખાતામાં નોકરી કરતાં હતાં. ત્રણેક વર્ષ પહેલા તેણે આ નોકરીમાંથી સ્વેૈચ્છીક નિવૃતી લઇ લીધી હોઇ હાલ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પરિવારના સભ્યો અગાસી પર સુતા હતાં ત્યારે એક સ્વજન સવારે નીચે આવતાં તેમણે પ્રવિણભાઇને લટકતાં જોતાં દેકારો કરતાં બીજા સભ્યો અને અડોશી-પડોશી ભેગા થઇ ગયા હતાં. પ્રવિણભાઇને તાકીદે નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યા હતાં. ગાંધીગ્રામના પીએસઆઇ એમ. ડી. વાળા અને રાઇટર વિરભદ્રસિંહે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી. જો કે કોઇ કારણ જણાવાયું ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.