રૈયા રોડ, નહેરૂનગરમાંથી ગંદકી દુર નહી થાય તો બંછાનિધી સામે પોસ્ટર વોરઃ બશીર મેમણ
ટીપર વાન અનિયમીત-સફાઇ કામદારો કચરો સળગાવે છેઃ તંત્રની પોલ ખોલતાં સામાજીક કાર્યકર
રાજકોટ તા. ૧૩ :.. શહેરનાં રૈયા રોડ, આમ્રપાલી સીનેમા પાસે આવેલ નહેરૂનગરમાં સફાઇના નામે ચાલતી લોલમલોલ બાબતે તંત્ર સામે લોક આંદોલન છેડવા ત્થા મ્યુ. કમિ. બંછાનીધી પાની વિરૂધ્ધ શહેરમાં પોસ્ટર વોર શરૂ કરવાની ચિમકી સામાજીક કાર્યકર બશીરભાઇ મેમણે ઉચ્ચારી છે.
તેઓએ એક યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેરનું મ્યુનિસીપલ તંત્ર એન કોર્પોરેટરો પ્રજાનું ધ્યાન 'તાઇફા' માં વ્યસ્ત છે. ત્યારે શહેરના વોર્ડ નં. ર માં રૈયા રોડ, આઝાદ ચોક, નહેરૂનગર-૧ મસ્જીદે હવ્વા વાળી શેરીમાં સફાઇના નામે લોલમલોલથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. સુપ્રિમ કોર્ટના હૂકમ વિરૂધ્ધ આ વિસ્તારમાં સફાઇ કામદારો દ્વારા કચરો એકઠો કરી જાહેરમાં સળગાવી લોક આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.
ખુદ તંત્ર દ્વારા આ ગુનાહીત બેદરકારી આચરવામાં આવી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં કચરાગાડી (ટીપરવાન) ટાઇમસર આવતી ન હોય, અનિયમત હોવાથી લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે....? ત્યારે હવે આ વિસ્તારની ગંદકીનો પ્રશ્ન નહી ઉકેલાય તો સામાજીક કાર્યકર બશીર મેમણે વર્તમાન મ્યુ. કમિ. બંછાનીધી પાની વિરૂધ્ધ શહેરમાં પોસ્ટર વોર શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે.