રાજકોટ
News of Tuesday, 13th February 2018

૧૨ કલાકનો જ્ઞાન- ધ્યાન- આનંદનો ત્રિવેણી સંગમ રચાશે

''ઈશા'' સંસ્થાના સ્થાપક સદ્ગુરૂ જગ્ગી વાસુદેવજીના સાન્નિધ્યમાં આજે સાંજે ૬ થી

રાજકોટ,તા.૧૩: આજે મહા શિવરાત્રીના પાવન આવસરે શિવાલયો તથા સંસ્થાઓ દ્વારા શિવભકિતનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે દેશની નદીઓને જોડવાનું ભગીરથ કાર્ય હાથ ધરનાર તથા વિશ્વની સૌથી ઉંચી શંકર ભગવાનની મૂર્તિને આકાર આપનાર ઈશા સંસ્થાના સ્થાપક સદ્ગુરૂજી દ્વારા આજે સાંજે ૬ વાગ્યાથી કાલે બુધવારે સવારે ૬ વાગ્યા સુધી જ્ઞાન, ધ્યાન અને આનંદનો ત્રિવેણી સંગમ ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતુર ખાતે રચાશે.

પૂ.શ્રી સદ્ગુરૂના સાનિધ્યમાં આખી રાત વિવિધ ધ્યાન પ્રક્રિયાઓ, નૃત્ય અને સંગીત, સદ્ગુરૂ સાથે સત્સંગ, સોનુ નિગમ, દલેર મહેદી, મોહીત ચૌહાણ, શોન રોલ્ડન એન્ડ ફ્રેન્ડસ, સાઉન્ડ ઓફ ઈશા અને અન્ય કલાકારો વિવિધ પ્રસ્તુતીઓ રજુ કરશે. આદિયોગી શિવની કૃપામાં લીન થવાનો આ એક અનેરો અવસર બની રહેશે.

મહાશિવરાત્રી ૨૦૧૮માં સદ્ગુરૂના માર્ગદર્શનમાં આધ્યાત્મીક સંભાવનાઓને ખોલવા શકિતશાળી પ્રક્રિયાઓ કરવામાં આવશે. સદ્ગુરૂ ઈચ્છે છે કે બધા લોકો, જયા હોય ત્યાં અડધી રાત્રે થનાર આ પ્રક્રિયામાં જોડાઈ. આ પ્રક્રિયા લગભગ ૫૦ મીનીટ ચાલશે. જેમાં સદ્ગુરૂના નિર્દેશોનું પાલન કરવાનું થશે. રાત્રે ૧૧:૩૦ કલાકે આ વિડીયોનું ઓનલાઈન સ્ટ્રીમીંગ isha.sadhguru.org  પર કરવામાં આવશે. જેથી  ઘરે અથવા બીજા કોઈપણ સ્થળેથી લોકો આ પ્રક્રિયામાં સદ્ગુરૂ સાથે જોડાઈ શકશે.

ઘરે શિવરાત્રી ઉજવવા માટે પણ ઈશા યોગ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી છે. જે મુજબ સુતા વિના પીઠ સીધી રાખી જાગતા રહેવું અને જાગરૂક રહેવું સૌથી લાભદાયક રહેશે. આ માટે એક દિવો અથવા લીંગ જ્યોતિ પ્રગટાવી અને ધ્યાનલીંગ અથવા સદ્ગુરૂનું ચિત્ર, ફુલ, અગરબત્તી વગેરે તમારી સાધનાની જગ્યામાં રાખી શકો છો. મંત્રોચ્ચાર કરી શકો છો. ભકિતગીતો ગાઈ કે સાંભળી શકો છો અને જો સમુહમાં હો તો  જેટલું શકય હોય તેટલું મૌન ધારણ કરવું વધુ સારૂ રહેશે.

આ ઉપરાંત મધ્યરાત્રી સાધના માટે રાત્રે ૧૧:૧૦ વાગ્યાથી ૧૧:૩૦ સુધી સુખ પ્રાણાયામ, રાત્રે ૧૧:૩૦ થી ૧૧:૫૦ સુધી ''ઓમ''નો જાપ, રાત્રે ૧૧:૫૦ થી ૧૨:૧૦ વાગ્યા સુધી મહામંત્ર ''ઓમ નમઃ શિવાય'' નો જાપ કરવો. આ સીવાય જો કોઈ વ્યકિત લાઈવ ટેલીકાસ્ટ કે વેબકાસ્ટ દ્વારા ઉત્સવ જોઈ રહયા છે તો તેમણે તેમાં આપવામાં આવતા નિર્દેશનું પાલન કરી મહાશિવરાત્રી ઉજવી શકે છે.

ઈશા યોગ કેન્દ્ર દ્વારા આયોજીત આ મહાશિવરાત્રી ઉત્સવમાં ભાગ લેવા તથા રજીસ્ટ્રેશન માટે ૦૮૩૦૦૦ ૮૩૧૧૧ ઉપર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત isha.sadhguru.org   ઉપરથી લાઈવ સ્ટ્રીમીંગ પણ જોઈ શકાશે. સાથો સાથ કલર્સ અને આસ્થા ટીવી ચેનલો ઉપરથી પણ આ અદ્ભુત મધ્યરાત્રી સાધનાનું સીધુ પ્રસારણ રાત્રે ૧૧:૩૦ થી ૬ સુધી કરવામાં આવનાર છે.

આ શિવ સાધનાની આજે સાંજે ૬ વાગ્યે લીંગ ભૈરવી મહાયાત્રાથી શરૂઆત થશે. ત્યાર બાદ ૬:૧૫ કલાકે પંચભૂત આરાધના ૬:૩૦ કલાકે સાઉન્ડ ઓફ ઈશા (એસ ઓ આઈ)નું પરફોમન્સ, ૭ કલાકે લીંગ ભૈરવી મહાઆરતી, ૭:૩૦ કલાકે સદ્ગુરૂનું સ્વાગત સંબોધન, ૮:૩૦ કલાકે સાંસ્કૃતિક નૃત્ય રજુ થશે.

 જયારે રાત્રે ૯ કલાકે શોન રોલ્ડન ભકિત રજુ કરશે, ત્યારબાદ ૯:૩૦ કલાકે સાઉન્ડ ઓફ ઈશાના રેતી કલાકારો સાથે કાર્યક્રમ રજુ કરશે. રાત્રે ૧૦ કલાકે પ્રખ્યાત ગાયક સોનુ નિગમ ભાવીકોને રસતરબોળ કરશે. ૧૦:૩૦ કલાકે નૃત્ય રજુ થશે. ૧૧ વાગ્યે સાઉન્ડ ઓફ ઈશા, ૧૧:૩૦ કલાકે સત્સંગ અને સદ્ગુરૂ સાથે મધ્યરાત્રી ધ્યાનનો આરંભ થશે.

રાત્રે ૨:૩૦ વાગ્યે મોહીત ચૌહાણ પોતાના સુમધુર અવાજમાં શિવગાન રજુ કરશે. જયારે વિખ્યાત પંજાબી- હિન્દી ગાયક દલેર મહેંદી મહાદેવના ગુણગાન ગાશે. રાત્રે ૩:૩૦ વાગ્યે સદ્ગુરૂ બ્રહ્મ મુર્હત વિશે સમજાવશે અને ત્યારબાદ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે.

જયારે રાત્રે ૪:૩૦ કલાકે ફરી એકવાર સાઉન્ડ ઓફ ઈશા દ્વારા પ્રસ્તુતી રજુ થશે અને ૫:૩૦ કલાકે આ મહાશિવરાત્રીનું સદ્ગુરૂ સાથે સમાપન થશે.

દેશ અને દુનિયાના મોટી સંખ્યામાં ભાવીકો આજે ઈશા યોગ કેન્દ્ર દ્વારા શ્રી સદ્ગુરૂના સાંનિધ્યમાં યોજાનાર મહાશિવરાત્રી ઉત્સવ- ૨૦૧૮નો લાભ લેશે.

(4:36 pm IST)