પક્ષીના ચરક બાબતે ડખ્ખોઃ સૂર્યનગરમાં બીનાબેન જોષીને પડોશી જયશ્રીબેન બોરીચા, તેના પુત્ર અને દેરાણીની મારી નાંખવાની ધમકી
રાજકોટઃ નાના મવા રોડ સૂર્યનગર-૪ દેવનિષ્ઠા એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૩માં રહેતાં બીનાબેન હરિશ્ચંદ્રભાઇ જોષી (ઉ.૪૨)ને પડોશી જયશ્રીબેન બોરીચા, તેના પુત્ર જય બોરીચા અને દેરાણી નયનાબેન બોરીચાએ મળી ગાળો દઇ 'દરવાજો ખોલ આજ તો તને પતાવી જ દેવી છે' તેમ કહી હાથમાં હથોડી રાખી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
બનાવ અંગે માલવીયાનગરના પીએસઆઇ એચ. એમ. જાડેજાએ બીનાબેની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. બીનાબેનના કહેવા મુજબ પોતાના ફલેટની બાજુમાં જ રહેતાં જયશ્રીબેન બોરીચા તેના ઘર પાસે પક્ષીઓને ચણ નાંખતા હોઇ આ પક્ષી બાદમાં બીનાબેનના ઘરની બારી તેમજ દોરી પર સુકલેવા કપડા અને છોડના કુંડા પર બેસી ચરક કરી જતાં હોઇ તે બાબતે બોલાચાલી થતાં ત્રણેયે બીનાબેનના ફલેટના દરવાજા પાસે આવી મોટા અવાજે ગાળો બોલી ધમકી આપી હતી. બીનાબેને ડોરઆઇમાંથી જોતાં જયશ્રીબેના હાથમાં હથોડી લઇને જોવા મળ્યા હતાં. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.