રાજકોટ
News of Sunday, 13th January 2019

વીજચોરીનું બીલ ગેરકાયદે ઠરાવવા થયેલ દાવો રદ : બીલ રદ થઇ શકે નહિ

ગ્રાહકના અવસાન બાદ કુટુંબીજનોને નામ ટ્રાન્સફર નહિ કરાવતાઃ વીજચોરીના કેસમાં ૧૮ વર્ષ બાદ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૨ : અત્રે પીજીવીસીએલના ગ્રાહકનું અવસાન થાય અને તેના કુટુંબીજનોએ નામ ટ્રાન્સફર કરાવેલ ન હોય તો તે ગ્રાહક ગણાય નહિ તેવુ ઠરાવી અદાલતે રૂ.૧,૮૧,૭૨૩ નું વીજચોરીનું બિલ ગેરકાયદેસર ઠરાવવાનુ અને રકમ પરત મેળવવાનો દાવો રદ કરી પીજીવીસીએલએ આપેલ બીલ રદ થવાને પાત્ર નથી તેવુ માની ૧૮ વર્ષ જૂના કેસનો નિકાલ અદાલતે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ઉદ્યોગનગર સબ ડીવીઝનના ગ્રાહક મનસુખલાલ કે.પટેલનું અવસાન થતા તેના વતી કીરીટભાઇ કાનજીભાઇ પટેલે રૂ.૧,૮૧,૭૨૩નું પીજીવીસીએલએ વીજચોરીનું બીલ આપેલ તે ગેરકાયદેસર ઠરાવવા તથા ભરેલ રકમ પરત મેળવવા દાવો દાખલ કરેલ હતો. ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝના નામથી ઉદ્યોગનગર સબ ડીવીઝનનું કનેકશન ધરાવતા અને ૧૦ મવડી પ્લોટમાં કારખાનુ ધરાવતા ગ્રાહકની માંગણી અદાલતે ફગાવી દીધેલ.

ગ્રાહક દ્વારા પીજીવીસીએલનું ૫૦ હોર્સ પાવરનું કનેકશન મેળવેલ અને તેમાં ચેડા કરી વીજચોરી કરેલ. જેનુ ચેકીંગ જે તે સમયના અધિકારી પી.એન.વ્યાસ દ્વારા કરવામાં આવેલ જેની કાર્યવાહી ડી.આર.શાહ દ્વારા કરવામાં આવેલ અદાલતમાં કિરીટભાઇ કાનજીભાઇ પટેલે દાવો દાખલ કરી જણાવેલ કે, તેઓએ કોઇ ચોરી કરેલ નથી. પીજીવીસીએલ દ્વારા ખોટી રીતે બીલ આપવામાં આવેલ છે.

એડવોકેટ જીતેન્દ્ર એમ.મગદાણીએ કરેલ તમામ દલીલોને માન્ય રાખી વીજકનેકશનમાં વીજચોરી થયેલ છે અને જે કાંઇ બીલ આપેલ છે. તે વ્યાજબી અને ન્યાયીક છે. તેથી વાદીનો દાવો સાબિત થતો ન હોય વાદીનો દાવો રદ કરી નાખેલ છે અને વાદીની બીલને ગેરકાયદેસર ઠરાવવાની માંગણીને પણ રદ કરેલ છે જેથી ચોરી કરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપેલ છે.

આ કામમાં પીજીવીસીએલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા હતા.

(3:51 pm IST)