ગાયકવાડીનો દિનેશ નશાની હાલતમાં પોપટપરા જેલ પાસે પડી ગયા બાદ મોત
રાજકોટ તા. ૧૨: જંકશન પ્લોટ ગાયકવાડી-૫માં રહેતો દેવીપૂજક યુવાન દિનેશ દિલીપભાઇ છત્રી (ઉ.વ.૩૮) પરમ દિવસે સાંજે નશાની હાલતમાં પોપટપરા જેલ નજીક પડી ગયા બાદ બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ગાયકવાડીમાં રહેતો અને ભંગારની ફેરી કરતો દિનેશ છત્રી પરમ દિવસે રાતે પોપટપરા જેલ નજીકથી ચાલીને આવી રહ્યો હતો ત્યારે પડી જતાં માથામાં મુંઢ ઇજા થઇ હતી. તેણે ઘરે આવી આ વાત કરી હતી અને સુઇ ગયો હતો. ગઇકાલે તેને દુઃખાવો થતો હોઇ સિવિલમાં અને અહિથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો. લીમડી પાસે બેભાન થઇ જતાં ફરી રાજકોટ સિવિલમાં ખસેડી દાખલ કરાયો હતો. આજે સવારે તેણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક બે બહેનનો એક જ ભાઇ હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.