રાજકોટ
News of Tuesday, 12th November 2019

ડો.કૃષ્ણકુમારના વ્યાસાસને વ્યસનમૂકિત, પર્યાવરણ, ભ્રુણહત્યાના સંદેશા સાથે ભાગવત કથાનું સમાપન

રાજકોટઃ અહિંના સંત કબીર રોડ પર રાજકોટ મ્યુ.કોર્પોરેશનના બિલ્ડીંગની સામે પૂજિત રૂપાણી ટ્રસ્ટની પાસે સિલ્વરનેસ્ટ સોસાયટીમાં સ્વ.જેરામભાઈ તુલસીભાઈ નાવિયાણી પરિવારના યજમાનપદે કારતક માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવન આયોજન થયું હતું..જેમાં વકતા તરીકે સેવાસંસ્થા ગીતા વિદ્યાલયના સંચાલક ભાગવતાચાર્ય ડો.કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજે (એમએસસી, એમએડ, પીએચડી) રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું હતું.

બોધદાયી દ્રષ્ટાંતો, વિજ્ઞાન અને અધ્યાત્મ, ભ્રુણહત્યા, પર્યાવરણ, કન્યા કેળવણી, રાષ્ટ્રપ્રેમ, દહેજપ્રથા, વ્યસનમુકિત, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યુ હતું. યજમાન પરિવારના હરીભાઈ, મનહરભાઈ, અતુલભાઈ, અરુણભાઈ, દીપકભાઈ નાવિયાણી વગેરે સદસ્યોએ પૂજાવિધિ તથા આરતીનો ધર્મલાભ લીધો હતો. કથામાં સતી ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, રામજન્મ, વેશભૂષા સાથે કૃષ્ણજન્મ, ભવ્ય નંદમહોત્સવ, ગિરીરાજ ઉત્સવ, અન્નકૂટ દર્શન,ગોપીગીત, સુદામા ચરિત્ર, રુકિમણી વિવાહ વગેરે પ્રસંગો ભકિતભાવપૂર્વક ઉજવાયા હતા. કથાશ્રવણ માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

ભાગવત કથામાં રાજકોટના જીલ્લા શિક્ષણાધિકારી આર,એસ,ઉપાધ્યાય  અને રાજકોટ શહેર આચાર્ય સંદ્યના પ્રમુખ સંજયભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહીને કથાશ્રવણનો ધર્મલાભ લીધો હતો.  આ તકે યજમાન પરીવારે ડી.ઈ.ઓ. શ્રી આર.એસ.ઉપાધ્યાયનુ તથા સંજયભાઈ પંડ્યાનું શાલ અને પુષ્પમાળાથી સન્માન કર્યું હતુ.

(3:34 pm IST)