રાજકોટ
News of Friday, 12th October 2018

નવરાત્ર વ્રતનું શાસ્ત્રોકત મહાત્મ્ય

કોઇપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાના મહત્વ વિશે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૬, શ્લોક ૨૩ અને ૨૪માં આજ્ઞા આપી છે. તેથી નવરાત્રના વ્રત વિશે શાસ્ત્રની આજ્ઞા જાણવી જોઇએ.

તા.૧૦-૧૦-૨૦૧૮ થી તા.૧૮-૧૦-૨૦૧૮ શારદીપ નવરાત્રીનુ વ્રત કરવામાં આવે છે.

નવરાત્રના વ્રત વિશે શાસ્ત્રમાં પ્રમાણ

શ્રીમદ ભગવતી ભાગવતના સ્કંધ ત્રીજામાં અધ્યાય ૨૬ થી ૩૦ અંતર્ગત નવરાત્રના વ્રત વિશે માહિતી અપાઇ છે. જેમાં જન્મેજમી રાજાના પૂજવાથી શ્રી વેદ વ્યાસ ભગવાન નવરાત્રના વ્રત વિશે કહે છે.

નવરાત્રના વ્રત વિશે શ્રી વેદવ્યાસની આજ્ઞા :

હે રાજન ! વસંત ઋતુ અને શરદ ઋતુમાં નવરાત્રનું વ્રત ખાસ વિધિપૂર્વક અવશ્ય કરવુ જોઇએ. કારણ કે આ બંને ઋતુઓ યમની દાઢ એ નામે સર્વલોકમાં કહેવાય છે. આ લોકમાં તે બંને ઋતુઓ પ્રાણીઓ માટે વિતાવવી કઠીન ગણાય છે. તેથી મનુષ્યએ આ વ્રત કાળજીથી કરવુ જોઇએ.

ચૈત્ર અને અશ્વિન માસમાં ભકિતપુર્વક ચંડિકા દેવીનું પૂજન કરવુ જોઇએ.

નવરાત્ર વ્રત વિધિ :

- વ્રત કરનાર મનુષ્યએ વ્રતના આગલા દિવસે (અમાવસ્યાએ) એક વાર સાદુ અને હલકુ જમવું.

- નવરાત્રના પ્રથમ દિવસે ઘરે અથવા તિર્થ સ્થળે વિધિપૂર્વક સ્નાન કરવુ.

- દેવીની સૌમ્ય, અત્યંત સુંદર, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરતા સિંહ ઉપર બેઠેલા રત્નો મોતીના હારથી શોભતા ચંદ્રજગોથી સ્તવન કરાતા શ્રી દેવીને સિંહાસન પર સ્થાપવા અથવા અઢાર ભૂજાવાળા સનાતની દેવીને પૂજા માટે લઇ શકાય.

- દેવીના પાઠ કરવા માટે નવ, પાંચ, ત્રણ કે એક બ્રાહ્મણ કહેલ છે.

- પ્રથમ ઉપવાસ, રાત્રી ભોજન અથવા દિવસમાં એક વખત ભોજનનો નિયમ લેવો પૂજા કરવી અને શ્રી શિવાદેવીને આમ પ્રાર્થના કરવી.

હે માતા ! હું સર્વોત્તમ નવરાત્ર વ્રત કરીશ, માટે હે માતા ! હે દેવી જગદંબા ! તમે મને સંપુર્ણ સહાય કરજો.

શ્રી દુર્ગામાતાનું પૂજન :

ચંદન, અગરૂ, કપુર, કરણ, આસોપાલવ, માલતી તથા ચંપાના પુષ્પો, સુંદર બિલ્લીપત્ર, ધૂપ તથા દિપકો વડે વિધીથી માતાજીનું પુજન કરવુ.

- શ્રી દુર્ગામાતાને નાળિયેર, બીજોરા, દાડમ, કેળા, નારંગી, ફણસ, બીલા તથા ઋતુ અનુસાર અમૃત જેવા સ્વાદિષ્ઠ ફળો અર્પણ કરવા.

- કુમારીકાઓનું પૂજન કરવુ.

- નવરાત્ર વ્રતમાં કુમારીકાઓનું પૂજન.

શ્રી વેદ વ્યાસ કહે છે કે, બે વર્ષથી લઇને દશ વર્ષ સુધીની કન્યાને પૂજનમાં લેવી.

જેમાં બે વર્ષની કન્યાને કુમારીકા કહી છે.

કુમારીકાના પૂજનનો મંત્ર :

જે દેવી કુમારના તત્વોને અને બ્રાહ્માદિ દેવોને લીલાથી સરજે છે તે કુમારીકા દેવીને હું પુજુ છુ.

ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂરત કહી છે.

ત્રિમુરતના પૂજનને મંત્ર :

જે શકિત સ્વરૂપવાળા માતા સત્વ વગેરે ત્રણ મુર્તિવાળા તે જ ગુણો વડે અનેક સ્વરૂપોથી મુકત અને ત્રણેય કાળમાં વ્યાપ છે તે ત્રિમુર્તિરૂપ દેવીને હુ પૂજુ છુ.

ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહી છે.

કલ્યાણીના પૂજનનો મંત્ર :

હંમેશા પૂજેલા જે દેવી ભકતોનું કલ્યાણ કરનારા તથા સર્વ કામનાઓ આપનાર છે તે કલ્યાણી દેવીને હુ ભકિતથી પુજૂ છુ.

- પાંચ વર્ષની કન્યાને રોહિણી કહી છે

રોહિણીના પૂજનનો મંત્ર

જે દેવી સર્વ જીવોએ પૂર્વ જન્મમાં એકઠા કરેલા (કર્મરૂપ) બીજોને ઉગાડનાર છે. તે રોહિણીને હુ પૂજુ છુ.

- છ વર્ષની કન્યાને કાલીકા કહી છે.

કાલીકાના પૂજનનો મંત્ર :

જે કાલીકાદેવી સૃષ્ટિના પ્રણ્ય સમયે સ્થાવર જંગમ સહિત સર્વ બ્રહ્માંડોનો નાશ કરે છે તે કાલીકાને હું પૂજુ છુ.

- સાત વર્ષની કન્યાને ચંડીકા કહી છે.

ચંડિકાના પૂજનનો મંત્ર :

જે ચંડિકા દેવી ઉગ્ર પાપોને હરનારા છે તે ચંડિકાદેવીને હુ પુજુ છુ.

- આઠ વર્ષની કન્યાને શાંભવી કહી છે

સાંભવી દેવીના પૂજનનો મંત્ર :

જે દેવી સ્વરૂપ વેદોએ દેવીની ઉત્પતી અકારણથી કહી છે જેમની ઉત્પતી પોતાની જ છે. બીજા કોઇ કારણથી નથી તે સુખ આપનારા શાંભવી દેવીને હું પુજુ છુ.

- નવ વર્ષની કન્યાને દુર્ગા કહી છે.

દુર્ગા દેવીના પૂજનનો મંત્ર :

- જે દેવી ભકતોને પડેલી મુશ્કેલી પીડાઓનો નાશ કરનારા તથા ભકતોનું સદા રક્ષણ કરનારા છે તથા સર્વ દેવોને જે જાણવા મુશ્કેલ છે તે દુર્ગાદેવીને હુ પુજુ છુ.

- દશ વર્ષની કન્યાને સુભદ્રા કહી છે

સુભદ્રા દેવીના પૂજનનો મંત્ર

- પૂજેલા જે દેવી સદા ભકતોના શ્રેષ્ઠ કલ્યાણ કરે છે તથા અગણિતનો સદા નાશ કરે છે તે સુભદ્રા દેવીને હું પૂજુ છુ.

આ નવ મંત્રો નવ કન્યાઓના પૂજન વખતે બોલવાના છે.

આ મંત્રો વડે મનુષ્યોએ વસ્ત્રો, અલંકાર, પુષ્પો તથા જાતજાતના સુગંધી દ્રવ્યો તથા પદાર્થોથી કન્યાઓનુ પુજન કરવુ તથા અન્નદાન વગેરે દાન આપવું.

પૂજનમાં રોજ એક કન્યા વધારતા જઇ પૂજવી અથવા રોજ બે ગણી કે ત્રણ ગણી કન્યા વધારવી અથવા રોજ નવ નવ કન્યાઓનું પૂજન કરવુ.

ખૂબ ભકિતથી પૂજન કરનારને શ્રી દુર્ગામાતાની કૃપાથી ધર્મ, અર્થ, કામથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થઇ શકે છે.

અશકત મનુષ્યો માટે નવરાત્ર વ્રત :

શ્રી વેદ વ્યાસ કહે છે, હે રાજન ! નવરાત્રમાં વ્રતમાં (દરરોજ) ઉપવાસ કરવા પણ જેઓ અશકત હોય તેઓ માટે (આંતરે આંતરે) ત્રણ ઉપવાસો કહ્યા છે. તે પણ શાસ્ત્રોમાં કહ્યા મુજબનું ફળ આપે છે.

સાતમ, આઠમ અને નોમના દિવસે ખૂબ ભકિતભાવ તથા શ્રધ્ધાથી શ્રી દુર્ગામાતાનું પૂજન કરવાથી સર્વ ફળ મળે છે.

પૂજા, હોમ, કુમારિકાઓનું પૂજન તથા બ્રહ્મભોજન કરાવવાથી આ વ્રત સંપુર્ણ થયેલુ કહેવાય છે. શ્રી વેદવ્યાસ કહે છે કે, આ વ્રત સ્વર્ગદાયી તથા ધનધાન્ય, સુખ, આરોગ્ય, વિદ્યા, યશ, સૌભાગ્ય આપનાર છે. તેથી મનુષ્યએ આ વ્રત શાસ્ત્રવિધિ મુજબ ખૂબ શ્રધ્ધા ભકિતપૂર્વક શ્રી દુર્ગામાતાનું આ કલ્યાણકારી નવરાત્ર વ્રત કરવુ.

સંકલન : નિશિથભાઇ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલ્ટન્ટ અને એસ્ટ્રોલોજર

(3:37 pm IST)