શ્રી સિદ્ધિ વિનાયકને ૧૧ હજાર મોદકનો અન્નકોટ
ઓમ ગં ગણપતયૈ નમો નમઃ.. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ... : કાલાવડ રોડ સ્થિત ગણેશ મંદિરમાં ઉમટતા ભાવિકોઃ રાત્રે પ્રસાદી વિતરણ
રાજકોટ : સુખકર્તા દેવ શ્રી ગણપતિ ગજાનન મહારાજના કાલાવડ રોડ સ્થિત મંદિરમાં આજે ૧૧ હજાર મોદકનો ભવ્ય દિવ્ય અન્નકોટ ધરાયો છે. જેના દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે ૩ વર્ષની મહેનત બાદ આ દિવ્ય મંદિરનું નિર્માણ થયુ છે. ગણપતિ મહારાજના આ દિવ્ય મંદિરના નિર્માણમાં માત્ર પથ્થરોનો જ ઉપયોગ થયો છે. મંદિરની દિવાલો સ્તંભ અને બારણામાં ૧૦૦૮ ગણપતિ સ્વરૂપો તૈયાર કરવામાં આવ્યા છે. મંગલમૂર્તિની મનમોહક પ્રતિભાથી ભાવિકો ધન્ય થઈ જાય છે. કિરીટભાઈ કુંડલીયાએ જણાવ્યુ છે કે આજે ૧૧ હજાર વિવિધ ફલેવરના મોદકનો અન્નકોટ યોજાયો છે. રાત્રે ૯ થી ૧૧ દરમિયાન આ મોદકના પ્રસાદનું વિતરણ ભાવિકો માટે થશે. સતીષભાઈ પંજાબી દ્વારા ખાસ કેક બનાવવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં શ્રી સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજી અને મોદકનો અન્નકોટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)