રાજકોટ
News of Thursday, 12th September 2019

રાજારામ સોસાયટીમાં વિરેન્દ્રસિંહ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

પત્નિ બહારથી આવ્યા તો પતિ લટકતા મળ્યાઃ ૧૨ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા. ૧૨: સામા કાંઠે રાજારામ સોસાયટી મેઇન રોડ પર રહેતાં વિરેન્દ્રસિંહ જાલમસિંહ રાઠોડ (ઉ.૪૫)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રાજારામ સોસાયટીમાં રહેતાં વિરેન્દ્રસિંહ રાઠોડે સાંજે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ જાણ કરતાં થોરાળાના એએસઆઇ જી. એલ. વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિરેન્દ્રસિંહ સાઇકલની દૂકાનમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં બાર વર્ષનો પુત્ર છે. ગઇકાલે બપોર બાદ પુત્ર શાળાએ ગયો હતો અને પત્નિ રીટાબા પણ કામે ગયા હતાં. સાંજે સાડા પાંચેક વાગ્યે પત્નિ ઘરે આવ્યા ત્યારે પતિ છતના હુકમાં બાંધેલી ચુંદડીના ગાળીયામાં લટકતા દેખાતાં દેકારો કરી મુકતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં અને વિરેન્દ્રસિંહને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ તેમને નિષ્પ્રાણ જાહેર કરાયા હતાં. મૃતકને નશાની આદત હતી. આપઘાતનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.

(1:08 pm IST)