જનતાના ગાલે ટ્રાફીક દંડનો તમાચો : સાંજે રાજકોટમાં બાપુની હાજરીમાં કાર્યક્રમ ઘડાશે
એનસીપીના નેજા હેઠળ વિરોધ અભિયાન : કાલે જુનાગઢમાં મીટીંગ
રાજકોટ તા. ૧૧ : કેન્દ્ર સરકારે અણધડ વહીવટનો વધુ એક નમુનો ટ્રાફીક દંડમાં તોતીંગ વધારાનો આપી લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ત્યારે એન.સી.પી.ના નેજા હેઠળ આ બાબતે વિરોધ અભિયાન છેડવામાં આવ્યુ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની યાદીમાં જણાવાયુ છે કે ટ્રાફીક દંડની અસહ્ય આકારણીના વિરોધમાં આજે બપોરે સુરેન્દ્રનગરમાં મીટીંગ સંબોધ્યા બાદ રાજકોટમાં સાંજે પ વાગ્યે ખાસ બેઠક યોજવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતીમાં સરકીટ હાઉસ ખાતે મળનાર આ મીટીંગમાં આગળના કાર્યક્રમો ઘડી કઢાશે. આ કાર્યક્રમમાં એન.સી.પી.ના રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવ, મહામંત્રી પ્રદીપ ત્રિવેદી, સ્થાનીક સ્તરેથી રાજકોટના ધર્મેન્દ્ર ડોબરીયા, એન.સી.પી. પ્રદેશ આગેવાનો ડો. જગદીશચંદ્ર દાફડા (મહામંત્રી), સુખાભાઇ ડાંગર (માજી ઉપપ્રમુખ), અશ્વિન ભીમાણી, વસંત કોરીન્ગા (પૂર્વ પ્રમુખ કિસાન સભા), હરેકૃષ્ણ જોષી (પૂર્વ પ્રદેશ મંત્રી), સંજય ગઢવી, સાગર ગઢવી, દિલીપસિંહ વાઢેર (પૂર્વ પ્રદેશ મંત્રી), સત્યેન પટેલ (માજી પ્રદેશ ઉપપ્રમુખ), વિનોદ દેસાઇ, હર્ષદ મકવાણા વગેરે ઉપસ્થિત રહેશે.