સાત વર્ષનો સુલતાન તાજીયા જુલુસમાં ભુલો પડયોઃ થોરાળા પોલીસે વાલીને શોધ્યા
જંગલેશ્વરમાં રહેતો બાળક તાજીયા જોવા નીકળ્યોને દૂધસાગર રોડ પર ભુલો પડયો'તો
રાજકોટઃ શહેરમાં મહોર્રમના તહેવાર નિમિત્તે ગઇકાલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી થોરાળા પોલીસ મથકની પીઆઇ બી.ટી.વાઢીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન જાહીદભાઇ ઇબ્રાહીમભાઇ નામના વ્યકિત દૂધસાગર રોડ હૈદરી ચોકમાંથી તાજીયાના જુલુસમાં ભુલા પડેલા બાળકને થોરાળા પોલીસ મથકે લાવતા પીઆઇ બી.ટી.વાઢીયા હેડ કોન્સ ભરતભાઇ વનાણી, તથા નરસંગભાઇ સહિતે બાળકને તેનુ નામ-સરનામુ પુછતા તેણે પોતાનુ નામ સુલતાન હમીરઅલી શેખ (ઉ.વ.૭) જણાવ્યુ હતું અને તે તાજીયા જોવા નીકળ્યા બાદ ભુલો પડી ગયો હતો. બાદ પોલીસે બાળકનો ફોટો અને માહિતી વોટસએપ ગૃપમાં તથા કેટ્રોલ રૂમને તથા તમામ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. બાદ થોરાળા તથા ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં લોકોને આ બાળકનો ફોટો બતાવી તેના વાલીને શોધતા હતા. દરમ્યાન આ બાળક જંગલેશ્વરનાં શેરી નં.૧૦માં રહેતો હોવાનું જાણવા મળતા સાત વર્ષના સુલતાનના પિતા હમીરઅલી છોટુઅલી શેખ તથા માતા જરીનાબેનને શોધી કાઢી પુત્ર સુલતાનને સોંપ્યો હતો.