રાજકોટ
News of Wednesday, 11th September 2019

જય મા ઉમિયાના જયઘોષ સાથે રાજકોટથી સિદસર સુધીની પદયાત્રાનું પ્રસ્થાન

૧૧૦૦ પદયાત્રિકો કાલે જામટીંબડી ખાતે રાત્રી રોકાણ કરશેઃ ગામે ગામ સ્વાગતઃ પુનમે ૧૧ કુંડી મહાયજ્ઞ

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સિદસર પ્રાગટયની ૧૨૦ મી પૂર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું   વહેલી સવારે ૪  કલાકે સંસ્થાની ઓફિસ રાજકોટ થી પ્રસ્થાન થયું જેમાં ૧૧૦૦ જેટલા પદયાત્રિકો જોડાયા હતા. રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ, પોરબંદર, ધ્રોલ સહીતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રાનો પ્રવાહ સિદસર તરફ રવાના થઇ રહયો છે.

 રાજકોટના શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવા સુદ પૂનમના રોજ શ્રી ઉમિયા માતાજી સિદસરના પ્રાગટય દિન નિમિતે યોજાનારા મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટ થી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રા નું  સંસ્થાની ઓફિસ અંકુર ર્કોમશીયલ સેન્ટર ગોંડલ રોડ થી સવારે ૪ કલાકે મા ઉમીયા ના જયધોષ સાથે દબદબાભેર પસ્થાન થયું. આ પદયાત્રા પ્રસ્થાન માં ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મંત્રી જયેશભાઇ પટેલ, મનુભાઇ વીરપરીયા, વિજયાબેન વાછાણી, મનસુખભાઇ ધોડાસરા, ઇશ્વરભાઇ વાછાણી, બિપીનભાઇ બેરા, સુરેશભાઇ ઓગણજા, હરીભાઇ કણસાગરા, સુરેશભાઇ કણસાગરા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. પાટીદાર કુળદેવી મા ઉમીયાના જયધોષ સાથે અનેરા ભકિતસભર વાતાવરણમાં પદયાત્રીકો એ આ પદયાત્રાનોં પ્રારંભ કર્યો હતો.

 રાજકોટથી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર જતાં પદયાત્રિકો ઢેબર રોડ, પી.ડી.માલવીયા કોલેજ, ગોંડલરોડ, કિષ્નાપાર્ક જેવા વિસ્તારમાં થઇ વેરાવળ (શાપર) મુકામે પહોંચ્યો હતો. શાપર વેરાવળ ખાતે કડવા પાટીદાર સમાજ શાપરના પ્રમુખ મનસુખભાઇ પાણની આગેવાની હેઠળ પદયાત્રીકોનું આતશબાજી તથા સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીકો ચા-નાસ્તા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાપર કડવા પાટીદાર સમાજ દ્રારા પદયાત્રીકોને આવકાર્યા હતા. શાપરથી પદયાત્રીકો દાળેશ્વર પ્રસાદ લઇ બપોર બાદ વાળીધર, કોલીથડ થઇ ગરનાળા મુકામે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તા.  ૧રને ગુરૂવારે ત્રાકુડાં મરાળ, ધોળીધાર થઇને જામકંડોરણા મુકામે બપોરની પ્રસાદી તેમજ જશાપર નાગબાઇની ધાર થઇ ખજુરડા જામટીંબડી મુકામે રાત્રી રોકાણ કરશે. તા. ર૩ ને શુક્રવારના રોજ પદયાત્રીકો જામ ટીંબડીથી નીકળી સાજડીયાળી મુકામે ચા-નાસ્તો કરી અરણી થઇ ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ, બપોર બાદ ખારચીયા, મોટી પાનેલી થઇને સિદસર મુકામે પહોચશે. જયા શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઇ ને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે.

 આ પદયાત્રામાં ડ્રેસકોડમાં સજજ ૧૪ સમિતિમાં ૧૩૦ જેટલા કાર્યકરો દ્રારા પદયાત્રીકોની સેવા - સારસંભાળની વ્યવસ્થા કરી રહયા છે. સંસ્થા દ્રારા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

પદયાત્રીને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કાંતીભાઇ કનેરીયા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.

(3:43 pm IST)