રાજકોટ
News of Wednesday, 11th September 2019

આંબેડકરનગરમાં મૈત્રી કરાર તોડી નાંખતા હસમુખ પર હુમલોઃ ઢીકાપાટૂ-પાઇપના ઘા

યુવતિના ફઇનો દિકરા અજય, અજયના પિતા અને બીજા બે જણા આ બાજુ આવવાની ના પાડી છતાં કેમ આવ્યો? કહી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ આંબેડકરનગરમાં રહેતાં યુવાને એક યુવતિ સાથે મૈત્રી કરાર કર્યા હોઇ તે ચાર વર્ષ પછી રદ કરી નાંખતા તેનું મનદુઃખ રાખી યુવતિના ફઇના દિકરા સહિતના ચાર જણાએ આ યુવાનની રિક્ષા આંતરી ગાળો દઇ પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુ મારતાં સારવાર માટે દાખલ થયો હતો.

પોલીસે આ બનાવ બારામાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૨-અમાં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હસમુખ દુદાભાઇ ચાવડા (ઉ.૩૧)ની ફરિયાદ પરથી આંબેડકરનગરના જ અજય ગેલાભાઇ મુછડીયા, ગેલાભાઇ મુછડીયા, લાલો જાના અને ટમુડો જીવણભાઇ સામે ગુનો નોંધ્યો છે.

હસમુખના કહેવા મુજબ સોમવારે બપોરે દોઢેક વાગ્યે હું મારા મિત્ર અશોકને તેના ઘરે ઉતારી અશોકની રિક્ષા લઇ તેના ઘર નજીકની દૂકાન પાસેની સાંકડી ગલીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અજય મુછડીયા, લાલો બાઇક પર આવ્યા હતાં અને મારી રિક્ષા આડે તેનું બાઇક રાખી દેતાં હું બહાર નીકળ્યો હતો અને તેને બાઇક દૂર લેવાનું કહેતાં લાલોએ પડખામાં પાટુ મારી મને પછાડી દીધો હતો. અજયએ લોખંડનો પાઇપ હોઇ તેનાથી હુમલો કરી માથામાં ફટકારતાં લોહી નીકળવા માંડ્યા હતાં. તેમજ બંનેએ ઢીકા-પાટુ પણ માર્યા હતાં.

હું રાડો પાડવા માંડતાં અજયના બાપા જેલાભાઇ તથા ટમુડો દોડી આવ્યા હતાં અને તેણે પણ માર માર્યો હતો. તેમજ 'તને અહિયા આવવાની ના પાડી છતાં કેમ આવ્યો?' કહી ગાળો દીધી હતી. એ પછી મને ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયો હતો. હુમલાનું કારણ એવું છે કે અજયના મામાની દિકરી સાથે મેં મૈત્રી કરાર કર્યા હતાં. ચારેક વર્ષ આ કરા ચાલ્યા હતાં. એ પછી આજથી દોઢેક મહિના પહેલા આ કરાર રદ કરી નાંખ્યા હતાં. જેથી અજયને સારું ન લાગ્યું હોઇ મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.

માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)