રાજકોટ
News of Wednesday, 11th September 2019

કસ્તુરબાધામ કિસાન સામુદાયીક મંડળીના પ્રમુખને કામ કરવા સામે લવાદ કોર્ટની રોક

રાજકોટ, તા. ૧૧ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટના સીનીયર જજ શ્રી એચ.પી. ભટ્ટએ રાજકોટ તાલુકાના શ્રી કસ્તુરબાધામ કિશાન સામુદાયીક મંડળ લી.ના શ્રી અરજણભાઇ રાજાભાઇ રૈયાણીની પ્રમુખ તરીકેની નિમણૂંકની કાર્યવાહી અન્વયે મંડળીના વ્ય. કમીટી સભ્યો શ્રી લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા વિગેરે દ્વારા દાવો દાખલ કરીને અરજણભાઇ રાજાભાઇ રૈયાણી પ્રમુખ તરીકે કામગીરી કરે નહીં તેવો દાવો દાખલ કરીને મનાઇ હુકમની માંગણી કરેલ અને તેમાં લવાદ કોર્ટ દ્વારા અરજણભાઇ રાજાભાઇ રૈયાણીને પ્રમુખ તરીકે કામગીરી કરે નહીં તેવો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાની કસ્તુરબાધામ કિશાન સામુદાયીક સેવા મંડળી લી.ના પ્રમુખ તરીકે ચૂંટણી યોજવામાં આવેલ અને તેમાં લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા અને અરજણભાઇ રાજાભાઇ રૈયાણી બન્ને ઉમેદવારોને મત સરખા મળતા અરજણભાઇ રાજાભાઇ રૈયાણીના ટેકેદાર દ્વારા શ્રી રાજકોટ ડી.કો-ઓપ. બેંક લી.ના પ્રતિનિધિશ્રી નમેરાનો મત ફાડી નાખીને અરજણભાઇ રાજાભાઇ રૈયાણીને વધુ મત મળેલ છે તેમ ગણીને પ્રમુખ તરીકે ચૂંટાયેલ જાહેર કરેલ અને તે સામે હરદેવસિંહ જાડેજા ગ્રુપના લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા સહીતના કમીટી સભ્યોએ ીવાદ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

લવાદ કોર્ટના જજશ્રી એચ.પી. ભટ્ટ દ્વારા કેસની ગંભીરતા ધ્યાને લઇને રાજકોટ લવાદ કોર્ટના ઇન્ચાર્જમાં હોવા છતાં સુનાવણી રાખેલ. લવાદ કોર્ટના જજશ્રી એચ.પી. ભટ્ટ દ્વારા પક્ષકારોની રજુઆતો સાંભળી, રેકર્ડ તપાસીને વાદી શ્રી લવજીભાઇ બારસીયાની રજૂઆતમાં તથ્યતા જણાતા એવા તારણ સાથે હુકમ કરેલ છે કે પક્ષકારે ચોખ્ખા હાથે આવવું જોઇએ, મતપત્ર ફાડવું તે ગેરવ્યાજબી છે, તેનાથી કયો મતની કયાદેસરતા નક્કી થઇ શકે તેમ જણાવીને વાદીનો દાવો પ્રથમ દર્શનીય જણાતા અને અરજણભાઇ રૈયાણીની પ્રમુખ તરીકેની વરણી યોગ્ય નહીં લાગતા તેઓને પ્રમુખ તરીકે કામગીરી કરતા લવાદ કોર્ટ દ્વારા રોક લગાવતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં શ્રી લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર ફડદુ, સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.

(11:47 am IST)