ચુનારાવાડમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલા રાજેશ ઉર્ફ ભોપલાનું બંધ મકાન ૪ શખ્સોએ ભડકે બાળ્યું
દોઢ મહિના પહેલા હત્યાનો ભોગ બનેલા સતિષ ભરવાડના મિત્રોએ ખાર રાખી ખેલ કર્યોઃ પૈસાની લેતીદેતીમાં ભોપલાએ પોતાના જ મિત્ર સતિષ ભરવાડની હત્યા કરી'તીઃ સતિષના મિત્રો ગોપાલ, કમલેશ અને જતીન સહિત ચારે બદલો લીધોઃ થોરાળા પોલીસે ભોપલાની અમદાવાદ રહેતી પત્નિની ફરિયાદ પરથી ગુનો નોંધી શોધખોળ આદરી
ભોપલાનું મકાન અને બળી ગયેલી ઘરવખરી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૨: ચુનારાવાડમાં મકાન ધરાવતાં અને હાલ પોતાના જ મિત્રની સતિષ ભરવાડની હત્યાના ગુનામાં જેલમાં રહેલા મુળ અમદાવાદના રાજેશ ઉર્ફ ભોપલો ચાવડાના બંધ મકાનમાં સતિષના મિત્રોએ આગ લગાડી દેતાં સાંઇઠેક હજારનું નુકસાન થયું છે.
બનાવ અંગે જેલમાં રહેલા રાજેશ ઉર્ફ ભોપલાની હાલ અમદાવાદ રહેતી પત્નિ મિનાક્ષીબેન રાજેશ ચાવડા (ઉ.૨૫)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા સતિષ ભરવાડના મિત્રો ગોપાલ રમેશભાઇ ધુળધોયા, કમલેશ ઉર્ફ કયલો સોલંકી, જતીન બેલધા તથા અજાણ્યા સામે આઇપીસી ૪૩૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે મિનાક્ષીબેનના પતિ રાજેશ ઉર્ફ ભોપલાએ તે બેડીપરા ફાયર બ્રિગેડ પાસે મનહરપરમાં રહેતો હોઇ ગત ૩૧મી જુને પૈસાની લેતી દેતી મામલે તેણે તેના જ મિત્ર સતિષ ભરવાડની હત્યા કરી હતી. આ ગુનામાં હાલ તે જેલહવાલે છે. બે દિવસ પહેલા ૧૦મીએ રાત્રે દોઢેક વાગ્યે સતિષના મિત્રો ગોપાલ, કમલેશ, જતીન અને એક અજાણ્યો ભેગા થયા હોઇ મિત્ર સતિષની હત્યા કરનાર ભોપલાના ઘરને નુકસાન પહોંચાડવા ચારેય ત્યાં પહોંચ્યા હતાં અને કોઇ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી દેતાં ઘરવખરી બળી જતાં પ૦ થી ૬૦ હજારનું નુકસાન થયું હતું.
આ અંગે અમદાવાદ રહેતી ભોપલાની પત્નિને ગઇકાલે જાણ થતાં તેણે રાજકોટ આવી તપાસ કરતાં ચાર શખ્સોના નામ જાણવા મળતાં થોરાળા પોલીસને જાણ કરતાં પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.આર. કોટવાલ અને આનંદભાઇએ ગુનો નોંધી ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.