રાજકોટ
News of Thursday, 12th July 2018

માંડા ડુંગરની ગોળાઇમાં છકડો પલ્ટી જતાં આહિર યુવાનનું મોત

ભારતનગરના ભીમાભાઇ (ઉ.૩૪) પાણીનો ફેરો નાંખી પરત આવતા'તા ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૨: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે પાણીની છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક ભારતનગરના ભરવાડ યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક ભારતનગર મફતીયાપરામાં રહેતો અને છકડો રિક્ષામાં પાણીના ફેરા કરી ગુજરાન ચલાવતો ભીમાભાઇ ભીખાભાઇ ઘોસીયા (ઉ.૩૪) નામનો આહિર યુવાન  સવારે પાણીનો ફેરો કરી રિક્ષા લઇ પરત આવી રહ્યો હતો ત્યારે માંડા ડુંગરની ગોળાઇમાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર યુવાન ત્રણ ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૧૧)

(4:22 pm IST)