મનપાની વેરાની આવકમાં ધરખમ ઘટાડો ડિસેમ્બર સુધીમાં આર્થિક કટોકટીની ભીતિ
રાજકોટ તા.૧૧: મ્યુ. કોર્પોરેશનની આવકની કરોડરજ્જુ સમાન વેરા આવકમાં ધરખમ ઘટાડો જોવા મળતા તંત્રને ડિસેમ્બર સુધીમાં આર્થીક કટોકટીની ભીતિ દર્શાય રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષથી મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્પેટ વેરા આકારણીથી વેરા વસુલાત પધ્ધતિ અમલી બનાવી છે. જેને ત્રણ - ત્રણ મહિના વિતી ગયા છતાં કાર્પેટ વેરાની આકારણી અને બીલની ઉદ્યરાણીમાં તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે. પરિણામે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ૨૬૦ કરોડની વેરા આવકનાં લક્ષ્યાંક સામે આજદિન સુધીમાં માંડ ૯૦ કરોડની આવક થઇ છે. આ હિસાબે જોઇએ તો અત્યારથી જ વેરા આવકમાં લક્ષ્યાંક મુજબની ગણતરીમાં ૨૦ કરોડનું ગાબડુ છે અને જો આમ જ ચાલશે તો વર્ષે ૫૦ કરોડથી વધુનું ગાબડુ વેરાની આવકમાં પડવાની ભીતિ સર્જાઇ છે. આમ, વેરા આવકમાં ગાબડાને કારણે કોર્પોરેશનની તિજોરીનાં તળિયા દેખાવા લાગ્યા છે. આથી ડિસેમ્બર સુધીમાં આર્થીક કટોકટીની ભીતી દર્શાતા આ વર્ષે મોટા પ્રોજેકટો પડતા મૂકવા પડે તેવી સ્થિતિ સર્જાયાનું જાણવા મળ્યું છે. (૨૮.૯)