નર્મદાનીર વધુ આપોઃ કોર્પોરેશન સરકારને પત્ર પાઠવશે
શહેરમાં પાણીની સ્થિતીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશ્નરઃ અધિકારીઓ સાથે સવાર-સાંજ મીટીંગ યોજાઇ
રાજકોટ તા. ૧૧: ચોમાસાના પ્રારંભને ૧ મહિનો થયા બાદ શહેરમાં માત્ર ૩ થી ૫ ઇંચ વરસાદ વરસતા શહેરને પુરૃં પાડતા જળાશયો ખાલીખમ્મ થવાની ભીતી દર્શાતા તંત્ર માટે ચિંતાનો વિષય શરૂ થયો છે અને મ્યુનિ. કમિશ્નરની અધ્યક્ષતામાં મીટીંગ કરી શહેરમાં પાણી વિતરણની સમીક્ષા કરવામાં આવી રહી છે અને રાજકોટને નર્મદાનીર વધુ મેળવા સરકારમાં પત્ર પાઠવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસુ શરૂ થયાના એક મહિના બાદ શહેરમાં સીઝનનો ૩ થી ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં પીવાના પાણીનો આધાર નર્મદા પર રહ્યો છે. શહેરના જળાશયોની સ્થિતિ તરફ એક નજર કરીએ તો આજીમાં ૧૫.૩૦ ફુટ, ન્યારીમાં ૪.૩૦ ફુટ તથા ભાદરમાં ૧૧.૯૦ ફુટ પાણી છે. જો વરસાદ ખેંચાય તો જળાશયોમાંથી વધુ પાણીનો ઉપાડ કરવામાં આવે અને ડેમો ખાલીખમ્મ થઇ જાય ત્યારે તંત્ર દ્વારા નર્મદાની સૌની યોજનાનો સહારો એ જ એક વિકલ્પ છે.
શહેરમાં પાણીની સમસ્યા હલ કરવા નર્મદા નીર એક જ વિકલ્પ છે ત્યારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકાર માં પત્ર પાઠવી વધુ નર્મદાનીર આપવા માંગ કરવામાં આવનાર હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યુ છે.
આગામી સમયમાં શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર ન પડે તે માટે મ્યુનિ.કમિશ્નરની અધ્યક્ષતામાં દરરોજ મીટીંગ યોજી અધિકારીઓ સાથે પાણી અંગેની સમિક્ષ કરવામાં આવી રહી છે.(૨૮.૮)
શહેરનો પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ
ડેમ હાલની સપાટી કુલ સપાટી
આજી ૧૫.૩૦ ૨૯
ન્યારી ૪.૩૦ ૨૫
ભાદર ૧૧.૯૦ ૩૪