સ્વામિનારાયણ ભગવાને લોકોના તનમંગલ, મનમંગલ અને સર્વમંગલના કાર્યો કરેલા
રાજકોટના દેવકૃષ્ણદાસજી સ્વામીની હાજરીમાં સુરત ગુરૂકુળમાં ત્રિદિવસીય મહોત્સવ
રાજકોટ, તા. ૧૨ :. કરવાનુ હતુ તે કરી રહ્યો રે, કેડે કરવુ રહ્યુ નથી કાંઈ... એમ ભગવાનશ્રી સ્વામિનારાયણે આજથી ૧૮૯ વર્ષ પહેલા આ મૃત્યુ લોકમાંથી વિદાય લઈ સ્વધામ - અક્ષરધામ જતા પહેલા નંદ સંતો અને હરિભકતો સન્મુખ કહેલું.
તેઓએ ભવિષ્યના જીવો માટે કલ્યાણના પ્રબંધ બાંધ્યા તેમા સંતો બનાવ્યા અમદાવાદને વરતાલ બે દેશ વિભાગની ગાદીએ સ્થાપી છ મંદિરો બનાવી શિક્ષાપત્રી લખીને વચનામૃત જેવા શાસ્ત્રો લખાવ્યા. હવે પછી આ પ્રમાણે વર્તવુને સદગુરૂશ્રી ગોપાલાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવુ એમ કહીને જેઠસુદ ૧૦ સંવત ૧૮૮૬ના રોજ બપોરે મધ્યાહન પહેલા ધામમાં સીધાવ્યા.
બોટાદ જીલ્લાના ગઢડા ગામે દાદા ખાચરના દરબારમાં ૨૫ વર્ષ સુધી રહ્યાને ૪૯ વર્ષની ઉંમરે સંતો-હરિભકતોના સાનિધ્યમાં સ્વતંત્ર થકી આ પાર્થિક મનુષ્યનું શરીર છોડી અક્ષરધામ સિધાવ્યા. આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ભકતો સંતો સત્સંગ ધૂન કિર્તન કરે છે ને દિનની સ્મૃતિ કરે છે.
વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સુરતમાં ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવિત્ર ઉપસ્થિતિમાં સુરતનો સત્સંગ સમાજ આ ઉત્સવ મનાવી રહ્યો છે.
ગુરૂકુળના પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, શ્રી ઘનશ્યામ મહારાજનું અખંડ પૂજન તથા ભગવાનના લીલા ચરિત્રોની કથાઓનો લાભ હરિભકતો લઈ રહ્યા છે.
સંતો યુવાનોએ આ દિવસે ભગવાનની અંતરધ્યાન લીલા સ્મૃતિ પર પાર લાવવાની સાથે ભકિતભાવ સાથે હાથમાં કરતાલ લઈ વિરહના - વિયોગના કીર્તનોનું ગાન કરેલ. વિવિધ મુદ્દા અને એક સંતો સાથે સંગીતજ્ઞ સંતોએ કીર્તન ગાન સાથે સમજુતી આપેલ. ત્રિદિવસીય અંતર્ધ્યાન મહોત્સવના દ્વિતીય દિવસે બપોરે ભગવાન શ્રી સ્વામિનારાયણનુ એક કલાક સુધી વિશિષ્ટ પૂજન-અર્ચન કરવામાં આવેલ.
ભગવાનશ્રી સ્વામિનારાયણ અને એમના પરમહંસોએ લોકોના તનમંગલ, મનમંગલ, સર્વમંગલ જેવા કાર્યો દ્વારા ગુજરાતના લોકોને સદાચાર અને ભકિતના માર્ગે વાળેલા. જેની નોંધ એ સમયના અંગ્રેજ અમલદારોએ લીધેલ. તેની વાતો શાસ્ત્રીશ્રી ચૈતન્યસ્વામી, શ્રીમંગલસ્વામી તથા શ્રી વિરકતસ્વામીએ સંભળાવેલ.