આજે બપોર પછી ઝંઝાવાતની ગંભીર અસરો શરૂ થઈ જશે : મોડી રાત પછી દે ધનાધનવાળી
'વાયુ' વાવાઝોડાની ગતિ અતિ તિવ્ર બની જશે તો મોડી સાંજના જ ત્રાટકે તેવી સંભાવના : હાલ તો વેઈટ એન્ડ વોચ જેવી સ્થિતિ : આજે મધરાતથી જ ભારે વરસાદના સમાચારો મળવા લાગશે : વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તેના પર મદાર
રાજકોટ, તા. ૧૨ : વાવાઝોડુ 'વાયુ' વેરાવળના દરિયામાં ધસમસી રહ્યુ છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં અસર થવા લાગી છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ ચાલુ થયાના વાવડ મળી રહ્યા છે. દરમિયાન આજે બપોર પછી ઝંઝાવાતની ગંભીર અસરો શરૂ થઈ જશે જો વાવાઝોડુ વધુ ગતિથી વ્હેલુ આવી જશે તો મોડી રાતથી વ્હેલુ આવી જશે તો મોડી રાતથી જ ભારે વરસાદ શરૂ થઈ જશે.
હવામાનની ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ 'વાયુ' વેરાવળમાં ધસમસી રહ્યુ છે. આ વાવાઝોડુ હાલ તો ૨૦ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે. વ્હેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ત્રાટકશે. પરંતુ જો આ વાવાઝોડાની ગતિ વધુ પકડશે તો મોડીરાતના પણ આ વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા છે.
દરમિયાન વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. બપોર બાદ વધુ અસર જોવા મળશે. મોડીસાંજના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર શરૂ થઈ જશે.