મોતીલાલ ઓસવાલ દ્વારા કોરોનામાં રૂ.૫ કરોડના મેડીકલ સાધનોનું અનુદાન
દેશના જાણીતા કોર્પોરેટ ટાયકુન : રાજકોટ , સુરત , અમદાવાદ , પાલનપુરની હોસ્પિટલોમાં રૂ.૭૫ લાખના સાધનોની સહાય
રાજકોટ,તા.૧૨: અત્યારે જયારે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના જાણીતા કોર્પોરેટ ટાયફુન મોતીલાલ ઓસવાલ દ્વારા કોરોના મહામારીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની હોસ્પિટલો માંતથ રૂ.પાંચ કરોડના મેડીકલ સાધનો આપી મહત્વપૂર્ણ યોગદાન આપી અનોખી મિસાલ પુરી પાડી છે.
મોતીલાલ ઓસવાલ દ્વારા ગુજરાતમાં પણ રાજકોટ, સુરત, પાલનપુર, અમદાવાદ અને નવસારીની હોસ્પિટલોમાં અંદાજીત રૂ.૭૫ લાખની કિંમતના ૧૦ બાઈપેપ વેન્ટિલેટર,૧૦ ઓકિસજન કોન્સનસ્ટ્રેટર મશીન નું અનુદાન કરી કોરૌનાની આ મહામારીમાં તેઓ એ સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
ઉદ્યોગપતિ મોતીલાલ ઓસવાલે સૌરાષ્ટ્ર ના રાજકોટ ની શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં પણ ત્રણ બાઇપેપ વેન્ટિલેટર અને સુરતની પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટી સ્પેશયાલિસ્ટ હોસ્પિટલમાં ચાર બાઇપેપ વેન્ટિલેટર અર્પણ કરી સૌરાષ્ટ્ર ના અને સુરતના દર્દીઓની વહારે આવ્યાં છે.
ગુજરાતનાં પ્રસિદ્ઘ મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ અને ગુજરાત યુવા ભાજપના નેતા જયભાઇ શાહ હસ્તક કોર્પોરેટ ટાયફુન મોતીલાલ ઓસવાલે સમગ્ર ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં રૂ.૭૫ લાખની કિંમતના સાધનો અર્પણ કરી સેવાની જયોત ઝગમગતી કરી છે.
આ અંગે દાનવીર મોતીલાલ ઓસવાલે જણાવ્યું હતું કે અત્યારે આ વૈશ્વિક મહામારીમાં દર્દીઓ જયારે મૃત્યુ સામે બાથ ભીડી રહ્યા છે અને ખાસ કરીને દર્દીઓને ઓકસીજનની જરૂરિયાત વધુ રહેતી હોવાથી મેડીકલ ના આ સાધનો અનુદાન કરવાનો મેં નિર્ણય કર્યો હતો.