રાજકોટ
News of Wednesday, 12th May 2021

પ્રેમમાં આડે આવતા પ્રેમિકાના પતિને ઓરડી જોવાના બહાને લઇ જઇ મોઢા-ગુપ્તાંગ પર પથ્થર ફટકારી સંજય ઉર્ફ છોટીયાએ પતાવી દીધા'તા

રાજકોટ-માધાપરના ૫૫ વર્ષના દરજી પ્રોૈઢ સાગરભાઇ રાઠોડની હત્યા તેની ૩૫ વર્ષની પત્નિ સંગીતાના ૨૮ વર્ષના પ્રેમી સંજય ઉર્ફ છોટીયા બિહારીએ કર્યાની ચોંકાવનારી વિગતો ખુલીઃ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલ્યો : મુળ બિહારનો સંજય ઉર્ફ છોટીયો પાસવાન પરણેલો છે, તેને સંતાનો પણ છેઃ તે મિત્ર સાગરભાઇની ઘરવાળી સંગીતાને બિહાર લઇ જવા ઇચ્છતો હતોઃ ૩/૫ના આઇઓસીના પટ પાછળ ઓરડી જોવાના બહાને લઇ ગયો અને ઢીમ ઢાળી દીધુ'તું: અગાઉ પણ સંજયે પોતે સાગરને મારી નાંખવા માંગે છે તેવી વાત સંગીતાને કરી હતી, પણ સંગીતા માનતી નહોતી : સંજય પોતાને બિહાર લઇ ગયા બાદ પતિની જેમ પતાવી દેશે...તેવો ભય લાગતાં અંતે સંગીતાએ ૯મીએ પોલીસ સ્ટેશને પહોંચીઃ પરંતુ ત્યારે પણ પતિની હત્યા થયાનું નહિ, પણ પતિ ગૂમ થયાનું જ કહ્યું હતું: પોલીસે તેને આ કેસમાં સાહેદ બનાવી : સંગીતાએ કહ્યું-પાંચ વર્ષથી મારે સંજય ઉર્ફ છોટીયા સાથે પ્રેમ હતોઃ મારો પતિ ઉમરમાં મોટો હતો એથી ગમતો નહિ, મેં જ પતિ-અને સંજયની મિત્રતા કરાવી હતીઃ હું અને સંજય પતિ-પત્નિની જેમ જ રહેતાં હતાં : મારા પતિને દરજી કામ ચાલતું નહિ, સંજય મારા ઘરનું બધુ પુરૂ પાડતો હતોઃ ત્રીજી તારીખે તેણે મારા પતિને મારી નાંખ્યાની જાણ મને ફોનથી કરી હતી, પરંતુ ધમકી આપી હોઇ હું પોલીસને જાણ ન કરી શકી : એએસઆઇ સી. એમ. ચાવડા, કરણભાઇ મારૂ અને ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચ પીએસાઇ યુ. બી. જોગરાણા ટીમનું ડિટેકશન

ઉપરની તસ્વીરમાં હત્યાનો ભોગ બનેલા દરજી પ્રોૈઢ સાગરભાઇ રાઠોડ (ઉ.વ.૫૫)નો ફાઇલ ફોટો, હત્યાના બનાવના ડિટેકશનની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ તથા નીચેની તસ્વીરમાં આરોપી સંજય ઉર્ફ છોટીયો પાસવાન જોઇ શકાય છે. બાજુની તસ્વીરમાં આરોપી સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: જામનગર રોડ પર આઇઓસીના પટમાં બાવળની ઝાડીમાંથી મળેલી લાશ માધાપરના ૫૫ વર્ષના દરજી પ્રોૈઢ સાગરભાઇ રાઠોડની હોવાનું ગઇકાલે ખુલ્યા બાદ તેમની હત્યા તેની જ યુવાન ૩૫ વર્ષની પત્નિ સંગીતાના તેની ઉમરના જ પ્રેમી ૩૫ વર્ષના મુળ બિહારના સંજય ઉર્ફ છોટીયાએ પથ્થરના ઘા ફટકારીને કર્યાનું ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ખુલતાં ગુનો નોંધી હત્યારાને દબોચી લેવાયો છે. પાંચ વર્ષથી સંજય ઉર્ફ છોટીયો અને સાગરભાઇ મિત્રો હતાં. પાંચ વર્ષથી સંજયને મિત્રની પત્નિ સાથે પ્રેમસંબંધ હતો અને બંને એક-બીજાને પતિ-પત્નિ તરીકે સ્વીકારી સંબંધો રાખતાં હતાં. પ્રેમિકાનો પતિ આગળ જતાં નડતરરૂપ બને તેમ હોવાથી સંજય તેને ૩/૫ના રોજ આઇઓસીના પટ પાસે ઓરડી જોવાના બહાને લઇ ગયો હતો અને પથ્થરના ઘા માોઢા-ગુપ્તાંગ પર ફટકારી હત્યા કરી હતી.

હત્યાની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ. બી. ગઢવીએ ફરિયાદી બની હાલ જામનગર રોડ પર ક્રાઇસ્ટ હોસ્પિટલ પાસે  રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મુળ બિહારના સમસ્તીપુર જીલ્લાના વિદ્યાપતિ થાના તાબેના બાજીપુર ગામના વતની સંજય ઉર્ફ છોટીયો દેવેન્દ્ર પાસવાન સામે આઇપીસી ૩૦૨, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

પીએસઆઇ એમ. બી. ગઢવીએ ફયિરાદમાં જણાવ્યું છે કે તા. ૪/૫ના રોજ બપોરે ૧:૫૦ આસપાસ એક અજાણ્યો પુરૂષ જામનગર રોડ આઇઓસી સામે ખુલ્લા પટમાં બાવળની જાડીમાંથી બેભાન મળી આવ્યો હોઇ તેને ઘનશ્યામસિંહ ઝાલા સિવિલ હોસ્પિટલે લઇ આવતાં ડોકટરુ મૃત જાહેર કરતાં એએસઆઇ ઘેલુભાઇ શિયાર સહિતે પંચનામુ કરી કાર્યવાહી કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી આગળની તપાસ અમને સોપી હતી.

પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવતાં મૃતકના મોઢા અને નાક પર ફ્રેકચર સહિતની ઇજા થયાનું જણાવાયું હતું. ડોકટરને મોૈખિક પુછતાં આ ઇજા બોથડ પદાર્થથી થઇ હોવાનું તેમણે કહ્યું હતું. એ પછી અમે મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં ૯/૫ના રોજ તેમની ઓળખ થઇ હતી. તેઓ માધાપરના ઇશ્વરીયા પાર્કમાં રહેતાં

સાગરભાઇ જમનાદાસ રાઠોડ (ઉ.વ.૫૦) હોવાનું ખુલ્યું હતું. તેના પત્નિ સંગીતાબેન (ઉ.વ.૩૫)એ ૯/૫ના પોલીસ સ્ટેશને આવી જાહેર કર્યુ હતું કે તેના પતિ સાગરભાઇ તા. ૩/૫ના રોજ રામાપીર ચોકડીએથી મોબાઇલમાં બેલેન્સ પુરાવવા ગયા બાદ ગૂમ થયા છે. તેણીએ તેની સાથે તેના મિત્ર સંજય ઉર્ફ છોટીયાને જતાં જોયો છે. તેવી વાત કરી હતી.

આ પછી ૧૧મીએ સંગીતાબેનની વિશેષ પુછતાછ શરૂ કરતાં તેણે કહેલું કે મારા (સંગીતાના) લગ્ન દસ વર્ષ પહેલા સાગર સાથે થયા છે. મારા માવતર મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લામાં રહે છે. હું પાંચેક વર્ષ પહેલા રામાપીર ચોકડીએ ઘરકામ અને કપડા વાસણના કામ કરવા જતી હતી ત્યારે સંજય ઉર્ફ છોટીયો દેવેન્દ્ર પાસવાન સાથે ઓળખાણ થઇ હતી. એ પછી મારા અને સંજય વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. મેં સંજયની ઓળખાણ મારા પતિ સાગરભાઇ સાથે પણ કરાવી હતી. ત્યારબાદ એ બંને મિત્રો બની ગયા હતાં અને અવાર-નવાર સંજય ઉર્ફ છોટીયો અમારા ઘરે આવતો જતો હતો.

અમે એક બીજાના પ્રેમમાં હતાં અને બંને વચ્ચે પતિ-પત્નિ તરીકેના સંબંધો થઇ ગયા હતાં. સંજયએ મને પત્નિ તરીકે સ્વીકારી લીધી હતી. મારા પતિ સાગર દરજી કામ કરતાં હોઇ અને તેમાં સાવ મંદી હોઇ તેને કામ પણ ચાલતું ન હોવાથી સંજય મારા ઘરનું બધુ પુરૂ કરતો હતો. વળી પતિ સાગર મારા કરતાં ઉમરમાં મોટા હોઇ તે મને ગમતાં નહિ અને સંજય મારી ઉમરનો હોવાથી મને ગમતો હતો. હું પણ તેને પતિ માનતી હતી અને અમે એકબીજાને પ્રેમ કરતાં હતાં.

સંગીતાએ આગળ કહ્યું હતું કે ૩/૫ના રોજ સંજયએ મને ફોન કરીને કહેલું કે મેં સાગરનું પથ્થરના ઘા મારી પુરૂ કરી નાંખ્યું છે. તેની લાશ જામનગર રોડ પર આઇઓસીના ગેઇટ સામે બાવળની ઝાડીઓ પાસે પડી છે. સંજયએ પતિને મોઢા-નાક પર પથ્થરના ઘા મારી પતાવી દીધાની વાત પણ કરી હતી. એ પછી તે મને અવાર-નવાર ફોન કરીને 'તું મારી પાસે આવી જા, આપણે બિહાર ભાગી જઇએ' તેમ કહેતો હતો. તેમજ મને ધમકી આપતો હતો કે તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તારું પણ નામ આપી દઇશ. જેથી બીકને લીધે મેં પતિની હત્યાની વાત છુપાવી રાખી હતી. છેલ્લે મને એવી બીક લાગી હતી કે સંજય મને બિહાર લઇ જઇ પતિની જેમ મારી નાંખશે, જેથી અંતે મેં પોલીસ સ્ટેશને પહોંચી માત્ર પતિ ગુમ થયાની જ વાત કરી હતી.

હત્યાની આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે અને ગાંધીગ્રામ પોલીસે ઉકેલી નાંખ્યો છે. હત્યારો પોતે પરણેલો છે અને તેને સંતાનો પણ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી. આર. ગઢવી, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂએ આ કામગીરી કરી હતી.

ગુનો ડિટેકટ કરવા માટેની બાતમી એએસઆઇ સી. એમ. ચાવડા, કોન્સ. કરણભાઇ મારૂ અને ઇન્દ્રજીતસિંહ ગોહિલને મળી હતી. આરોપી સંજય ઉર્ફ છોટીયો જામનગર રોડ ક્રાઇસ્ટ હોસ્પિટલ પાસે ભાડાના મકાનમાં રહેતો હોવાની અને એ ત્યાં જ હાજર હોવાની બાતમી પરથી ઉઠાવી લેવાયો હતો. વિશેષ તપાસ ગાંધીગ્રામ પોલીસ કરે છે.

સંગીતાએ પતિને એમ કહીને ચેતવેલા કે સંજય મારા એકતરફી પ્રેમમાં પાગલ છે, એ તમને મારવા માંગે છે, એની સાથે એકલા જતાં પહેલા ધ્યાન રાખજો

. પોલીસ તપાસમાં સંગીતાએ એમ પણ કહ્યું હતું કે સંજય ઉર્ફ છોટીયો તેણીના પ્રેમમાં પડી ગયો હતો. તેણે અગાઉ મને કહેલું કે તે મારા પતિ સાગરને મારી નાંખવા માંગે છે, પરંતુ મેં તેને ના પાડી હતી. હું તેને સાથ આપતી નહોતી. ઉલ્ટાનું મેં મારા પતિને કહેલું કે સંજય મારા એક તરફી પ્રેમમાં પાગલ છે અને એ તમને ગમે ત્યારે મારી નાંખવા માંગે છે. આથી તમે તેની સાથે જતાં પહેલા ધ્યાન રાખજો.

સંજય અને સંગીતા સાથે કડીયા કામ કરતાં તેમાંથી ઓળખ થઇ

.તપાસમાં ખુલ્યું છે કે સંજય ઉર્ફ છોટીયો મુળ બિહારનો વતની છે. છ વર્ષ પહેલા તે બાવળાની રાઇસ મીલમાં મજૂરી કરતો હતો. એ મીલમાં સિઝન પુરી થતાં પાંચ વર્ષ પહેલા સંજય કામની શોધમાં રાજકોટ આવ્યો હતો અને કડીયા કામની સાઇટ પર મજૂરીએ જોડાયો હતો. એ સાઇટ પર સંગીતા પણ કડીયા કામ કરવા આવતી હોઇ બંને વચ્ચે ઓળખાણ થઇ હતી અને પ્રેમ થયો હતો.

(2:55 pm IST)