અક્ષયતૃતીયાના શુકનવંતા અવસરે કોરોનાનું લાગ્યું ગ્રહણ : જવેલર્સોને મોટો આર્થિક ફટકો
સતત બીજા વર્ષે શુકનવંતા અવસરે વેપાર -ધંધા બંધ રહેતા વેપારીઓ- જવેલર્સો હેરાન
રાજકોટ : અક્ષય તૃતીયાના અવસરે સોના ચાંદી સહિતની શુકનવંતી ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હ્યો છે ત્યારે આ વર્ષે પણ ૧૪મી મે શુક્રવારના રોજ અક્ષય તૃતિયાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, વેપાર ધંધા અને બજારો બંધ રહેવાને લીધે સોના-ચાંદીના દાગીના અને જર-ઝવેરાત વેચતા જવેલર્સો તેમજ કંપનીઓને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડશે. નાના જવેલર્સનો ધંધો ગુમાવવાને કારણે મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે,
એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોનીબજારમાં પણ હજારો જવેલર્સ -વેપારીઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ,ત્યારે આ વર્ષે અક્ષય તૃતીયાના અવસરે સોનીબજાર ખુલવાની આશા હતી પરંતુ રાજ્ય સરકારે મીની લોકડાઉન વધુ એક અઠવાડિયું લંબાવતા નિરાશા સાંપડી છે
ગત વર્ષે પણ અક્ષય તૃતિયાએ લોકડાઉનને લીધે જવેલર્સોને મોટો ફટકો પડયો હતો. આ વર્ષે પણ અક્ષય તૃતિયાએ લોકડાઉન હોવાથી જવેલર્સોને મોટો ફટકો પડશે આમ છેલ્લા બે વર્ષથી અક્ષય તૃતિયાના દિવસે વેપાર બંધ રહેવાને લીધે જવેલર્સોને પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે
અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદી શુકનિયાળ માનવામાં આવે છે. દર વર્ષે અખાત્રીજે લોકો સોનું કે ચાંદી ખરીદતા હોય છે. સામાન્ય રીતે આ શુભ દિવસે સોનું કે ચાંદીની રોકડમાં ખરીદી કરવામાં આવતી હોય છે.