ડીસીપી ઝોન-૨ અને બીજા ૬૮ કર્મચારીઓ સંક્રમિત થયાઃ મોટા ભાગના હોમ ક્વોરન્ટાઇન
રાજકોટ તા. ૧૨: શહેર પોલીસમાં કોરોના વોરીયર્સ તરીકેની ફરજ દરમિયાન ગયા વર્ષે શહેર પોલીસના સવાસો જેટલા અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થયા હતાં. આ વખતે કોરોનાની બીજી લ્હેરમાં છેલ્લા આઠ-દસ દિવસમાં જ શહેર પોલીસના ૬૮ પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે અને તેમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માતા સંક્રમિત થયા હતાં અને હવે મનોહરસિંહ પણ સંક્રમિત થયા છે. તેમની તબિયત સારી છે. શહેર પોલીસના બીજા ૬૮ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત છે અને મોટા ભાગના તમામ હોમ ક્વોરન્ટાઇન રહીને સારવાર લઇ રહ્યા છે. આ તમામની હાલત સુધારા પર છે. કોરોનાની બીજી લ્હેર સામે શહેર પોલીસ, મિડીયા કર્મચારીઓ અને શહેરીજનોએ વધુ જાગૃત રહેવું પડશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝરના નિયમોનું ફરજીયાત પાલન કરવું અને જરૂર વગર ઘર બહાર ન નીકળવું તે અત્યંત જરૂરી બન્યું છે.