રાજકોટ
News of Monday, 12th April 2021

પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે

દફનાવાયેલા પાંચ માસના બાળકનો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ફરીથી દફનવિધી

રાજકોટઃ શહેરના માંડા ડુંગર પાસે માવતર ધરાવતી અમિષા અશોકભાઇ ચાવડા (ઉ.વ.૨૦) અને તેના પ્રેમી ગોંડલના માંધાતા પાર્ક હરભોલે સોસાયટી પાસે રહેતાં મુન્ના રાજુભાઇ ડાભી (ઉ.વ.૨૩)ની આજીડેમ પોલીસે પાંચ માસના દિકરા ધાર્મિકની હત્યા કરી લાશ ગોંડલમાં દફનાવી દેવાના ગુનામાં ધરપકડ કરી હતી. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ અને પીઆઇ વી. જે. ચાવડાએ ઘટનાની માહિતી આપી હતી. અમિષાએ અઢી વર્ષ પહેલા ગોંડલ હરભોલે સોસાયટીમાં રહેતાં હિતેષ રણછોડભાઇ પીપળીયા સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને પાંચ મહિના પહેલા હિતેષ થકી પુત્ર ધાર્મિકને જન્મ આપ્યો હતો. પરંતુ બાદમાં અમિષાને પડોશમાં રહેતાં મુન્ના ડાભી સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ૧૨/૨/૨૧ના રોજ વડીયા (અમરેલી) ખાતે લગ્ન કરી લીધા હતાં. પરંતુ હવે પછી અમિષાને પ્રેમી મુન્ના સાથે રહેવામાં માસુમ ફૂલડા જેવો દિકરો ધાર્મિક નડતરરૂપ બને તેમ લાગતો હોઇ પ્રેમી સાથે પ્લાન ઘડી પ્રેમીએ જ લાવી આપેલી ઝેરી ટીકડીઓ દૂધમાં ભેળવી દિકરાને પીવડાવી દઇ હત્યા નિપજાવી હતી. એ પછી પતિ બહારગામ હોઇ દિકરાનું બિમારીથી મૃત્યુ થયાનો ખોટો ફોન કર્યો હતો અને પતિને બહારગામથી બોલાવી તેને સાથે રાખી બાળકની દફનવિધી કરાવી હતી. દિકરાના મૃત્યુના થોડા જ દિવસ બાદ અમિષા અને મુન્નો ગાયબ થઇ જતાં પતિ હિતેષને શંકા ઉપજતાં અરજી કરી હતી અને ગોંડલ પોલીસે આ અરજીની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલી રાજકોટ આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એમ. ડી.વાળા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, કોન્સ. સ્મીતભાઇ વૈશ્નાણી, જયપાલભાઇ બરાળીયા સહિતે તપાસ કરી આ મામલે આઇપીસી ૩૦૨, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી અમિષા અને પ્રેમીની ધરપકડ કરી હતી. દફનાવાયેલા બાળકના મૃતદેહને બહાર કઢાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી ફરીથી પરિવારજનોને સોંપાતા ફરી દફનવિધી કરવામાં આવી હતી. બીજી તરફ દિકરાને રહેંસી નાંખ્યાનો માતા અમિષાને જરાય અફસોસ નહોતો. જેની સાથે મોજથી રહેવા દિકરાની હત્યા કરી એ પ્રેમી સાથે હવે તેણીને જેલમાં રહેવાનો વખત આવ્યો છે.

(3:18 pm IST)