કાળીપાટમાં અજય કોળીનો સ્મશાનમાં બાવળના ઝાડમાં લટકી જઇ આપઘાત
૨૧ વર્ષનો યુવાન ગઇકાલનો ગૂમ હતોઃ આજે સવારે લાશ મળતાં અરેરાટી
રાજકોટ તા. ૧૨: રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા કાળીપાટ ગામમાં રહેતાં અજય ભલાભાઇ ઉતેડીયા (ઉ.૨૧) નામના કોળી યુવાને ગામના સ્મશાનમાં બાવળના ઝાડમાં લટકી જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
અજય ગઇકાલે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ હતો. પરિવારજનોએ ઠેર ઠેર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કોઇ ગ્રામજન સ્મશાન તરફથી નીકળતાં ત્યાં બાવળના ઝાડમાં અજયને લટકતો જોતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા, કાનજીભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. તે અપરિણીત હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.