શહેર ભાજપ દ્વારા મોહન કુંડારીયાનો વિરોધ !
ગત ટર્મમાં કુંડારીયાને ટીકીટ મળતા જ ભાજપ કાર્યાલયને કરાઈ હતી તાળાબંધી, હવે ફરી એવો જ ખેલ નાખવાની તૈયારી ? : કાર્યાલય, સક્રિયતા અને અભ્યાસ મુદ્દે ઉચ્ચ કક્ષાએ ખાનગીમાં થઈ રહ્યો છે વિરોધઃ પુષ્કર પટેલ અને ઉદય કાનગડ માટે લોબીંગ
રાજકોટ, તા. ૧૨ : . લોકસભા ૨૦૧૯ માટે ચૂંટણી પંચે પોતાના પત્તા ખોલી નાખ્યા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપના આગેવાનોએ પણ સોગઠાબાજી શરૂ કરી દીધાના વાવડ મળી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં તો હજુ ઉમેદવારી અંગે કોઈનો 'અત્તો' કે 'પત્તો' જ નથી પરંતુ રાજકોટ શહેર ભાજપે મોહનલાલ કુંડારીયાને રીપીટ ન કરવા અને પુષ્કર પટેલ કે ઉદય કાનગડ માટે પ્રયાસો આદરી દીધાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.
શહેર ભાજપના ટોચના હોદેદારો આ અંગે કોઈ ફોડ પાડતા નથી પરંતુ ભાજપના જ સૂત્રોમાંથી અકિલાને એવા નિર્દેશો મળી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક માટે શહેર ભાજપે ઉચ્ચકક્ષાએ ખાનગીમાં ધોકો પછાડયો છે.
મોહનભાઈ કુંડારીયાને ગત ટર્મમાં ટીકીટ અપાઈ હતી ત્યારે પણ ભાજપ કાર્યાલયને તાળાબંધી કરાઈ હતી તે વાત સર્વવિદિત છે ત્યારે આ વખતે તાળાબંધીનો પ્રોગ્રામ આપવો ન પડે તે માટેનું આગોતરૂ આયોજન થઈ રહ્યાની ચર્ચા જાગી છે.
ભાજપના જ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા એક અઠવાડીયાથી શહેર ભાજપના ચોક્કસ આગેવાનોમાં આ અંગેની ચહલપહલ જોવા મળી રહી છે. મોહનભાઈ કુંડારીયા સાંસદ હોવા છતા તેમનુ કાર્યાલય શહેરમાં ન હોવાનું, તેમના અભ્યાસ અને નિષ્ક્રીયતાને આગળ કરીને ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ રહી હોવાનું મનાય છે.
ભાજપમાં છાનાખૂણે ચર્ચાતી વિગતો મુજબ શહેરમાં સમાંતર રેખા જેવા બે જુથનો આ બાબતે એક રાગ થઈ ગયાનું અને બન્ને જુથના એક એક એટલે કે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ તથા વર્તમાન ચેરમેન ઉદય કાનગડનું નામ હાલ તો સાંસદની ટીકીટ માટે વહેતુ મુકાયાનું મનાય છે.
તો વળી શહેર ભાજપનું એક ચાણકય મનાતુ ગ્રુપ એવી વાત કરી રહ્યુ છે કે હાલ બે નામ વહેતા મુકાયા છે અને જો બધા સોગઠા સરખા પડે તો ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનું વધુ એક નામ પણ આગળ થઈ શકે છે.
હાલ તો આ બધી ચર્ચાની વિગતો છે જો કે અમુક જગ્યાએથી છાનુ સમર્થન મળી રહ્યું છે, પરંતુ આજે ચૂંટણીની ગોઠવણ સબંધે શહેર ભાજપના ૯થી ૧૦ ટોચના આગેવાનોનો મુકામ આજે ગાંધીનગર ખાતે છે અને આ લખાય છે ત્યારે આ આગેવાનો શહેર ભાજપની અનેકધિ બાબતોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાીણને મળી રહ્યું છે.
શહેર કોંગ્રેસમાં ચૂંટણી સમયે ઉમેદવારને લઇને ભાંજગડ હોય એ તો રૂટીન પ્રક્રિયા છે, પરંતુ મોહનભાઇ કુંડારીયાને રીપીટ ન કરવા બાબતેની લાગણીઓ ઉચ્ચ કક્ષાએ વ્યકત થઇ રહ્યાની ચર્ચાએ રંગીલા રાજકોટમાં નવી રંગીલી ઉત્તેજના ફેલાઇ છે.