મની લેન્ડરીંગ એકટના કેસમાં ગોંડલના વેપારી આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકોટ તા.૧૨: મની લેન્ડરીંગ એકટ અન્વયે ગોંડલના વેપારી આરોપીનો નિર્દોષ છુટકારો અત્રેની અદાલતે ફરમાવેલ છે.રાજકોટમાં યુનિ.રોડ ઉપર અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં રહેતા સનતભાઇ વિઠ્ઠલભાઇ રાયઠઠ્ઠા એ ગાંધીગ્રામ પો.સ્ટે.માં તા. ૨૫-૦૧-૨૦૦૩ના રોજ લેખિત ફરિયાદ નોંધાવેલ હતી કે ગોંડલના વેપારી જીતેન્દ્ર મેરામભાઇ ખાચર રહે. મહાદેવવાડી-૪, ગોંડલના પાસેથી રૂપિયા ૭,૦૦,૦૦૦/- માસિક ૧૨% લેખે વ્યાજે લીધેલ છે. આરોપી જીતેન્દ્રભાઇ ખાચર પાસે કોઇપણ જાતનું લાયસન્સ નથી અને ધિરાણનો વેપાર -ધંધો કરે છે. સદરહું રકમ કટકે-કટકે તમામ રકમ ચુકવી દીધેલ હોવા છતાં પણ આરોપી વધુ રકમ પડાવવા અમારા ઘરે આવીને તથા ફોન ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપી, મોટી રકમ પડાવવા કોઇપણ સમયે હુમલો કરે તેમ છે. આ ફરિયાદ અનુસંધાને જુદા જુદા સાક્ષીઓ, પંચોના નિવેદનો લઇ ગાંધીગ્રામ પોલીસે ફોજદારી કેસ અંગેનું ચાર્જશીટ સને ૨૦૦૩માં કોર્ટમાં રજુ કરેલ.
ફરિયાદપક્ષ આ ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ છે. આરોપીને સજા અંગેના કોઇ પુરાવા કે દસ્તાવેજી પુરાવથી સમર્થન મળતું નથી. આવી તમામ દલીલો / રજુઆતો ધ્યાને લઇ આસી.ચીફ. જયુડી. મેજી. પટેલ મેડમ સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામના આરોપી જીતેન્દ્રભાઇ મેરામભાઇ ખાચર તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન ગોંડલીયા તથા નેહલ ડી. ત્રિવેદી રોકાયેલ છે. (૧.૨૯)