મકરસંક્રાંતિ નિમિતે કોર્પોરેશનની શાળાઓમાં બાળકોને ૧૫ હજાર પતંગનું વિનામૂલ્યે વિતરણ
વોર્ડ નં.-૩ના જાગૃત કોર્પોરેટર અને ગુજરાત કોંગ્રેસ મહિલાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું સરાહનીય સેવાકીય કાર્ય
રાજકોટ, તા. ૧૨ :. શહેરના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા હંમેશા દરેક તહેવારો વિસ્તારના લોકોની સાથે ઉજવે છે અને પ્રતિ વર્ષે તેમના પારીવારિક ટ્રસ્ટ શ્રી મેલડી માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષથી મકરસંક્રાંતિના પર્વ નિમિતે વોર્ડ નં. ૩ના પછાત વિસ્તારના બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત વિસ્તારની મહાનગરપાલિકા સંચાલિત ૧૧ શાળાઓનાં અંદાજીત ૩૦૦૦ બાળકોને ૧૫ હજાર પતંગોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં એક વિદ્યાર્થી દીઠ પાંચ (૫) પતંગો આપવામાં આવી હતી.
આ અંગે ગાયત્રીબાએ યાદીમાં જણાવ્યુ હતુ કે, આ વિસ્તારની શાળાઓમાં (૧) એકનાથ રાનડે સ્કૂલ (૨) ઠક્કરબાપા સ્કૂલ (૩) બાવાજીરાજ સ્કૂલ નંબર ૪ અને ૫ (૪) મંગલ પાંડે સ્કૂલ (૫) નાના સાહેબ પેશ્વા (૬) માં સંતોષી પ્રા. શાળા (૭) વીર લાલા હરદયાળ (૮) શ્રી રામકૃષ્ણ પરમહંસ (૯) ડો. બી.આર. આંબેડકર પ્રા. શાળા નં. ૧૦ (૧૦) શાળા નં. ૪૪ તોપખાના સહિતની શાળાઓમાં બાળકોને ગાયત્રીબા વાઘેલા દ્વારા પતંગ વિતરણ કરી વહેલી સવાર તેમજ સાંજના સમયે પતંગ ન ઉડાડવા અને પક્ષીઓનું રક્ષણ કરવા તેમજ પતંગ ઉડાડતી વખતે બાળકોને પોતાના શરીરનું ધ્યાન રાખવા અને કોઈ અકસ્માત ન થાય તેની જાળવણી કરવાની શીખ આપવામાં આવી હતી અને સૌને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ટ્રસ્ટના પ્રમુખ એડ. અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસના આગેવાન યતિનભાઈ વાઘેલા, વોર્ડ નં. ૩ ના પ્રમુખ ગૌરવભાઈ પુજારા, ખેમચંદભાઈ મદિયાણી, ઈબરાહિમભાઈ શેખ સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(૨-૧૫)