શહેરીજનો ચાઇનીઝ દોરા - તુક્કલનો ઉપયોગ ન કરે : પક્ષીઓનું ધ્યાન રાખીએ
મકરસંક્રાંતીના પાવન પર્વ પ્રસંગે બીનાબેન આચાર્ય, અશ્વિન મોલિયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પરમાર સહિતના પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી
રાજકોટ તા. ૧૨ : મકરસંક્રાંતી (ઉતરાયણ) એટલે ગુજરાતના લોકોનો માનીતો હર્ષોલ્લાસથી ઉજવાતો તહેવાર, નાના બાળકોથી માંડી અબાલ વૃઘ્ધ સહીતના સહુ મન ભરીને આખો દિવસ પતંગ ચગાવતા હોય છે. આ તહેવાર પ્રસંગે શહેરીજનોને શુભકામના પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી અશ્વિનભાઈ મોલીયા તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી તથા દંડક અજય પરમારે જણાવ્યુ છે કે શહેરીજનો આનંદ અને હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે તેની સાથો સાથ ખાસ કરીને નાના બાળકો પતંગ માટે આમતેમ દોડાદોડી કરતા હોય ત્યારે કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે પુરેપુરી સાવચેતી રાખવા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે. સાથોસાથ આકાશમાં ઉડતા પંખીઓના આવા જવાના સમયે પતંગ ન ઉડાડી પંખીઓને થતી ઈજા રોકીએ. ઉપરાંત ઈલેકટ્રીક લાઈન સાથે દોરાનો સ્પર્શ થવાથી શોર્ટ સર્કીટના બનાવો ન બને તે માટે અને આનંદનું પર્વ શોકમાં ન પલટાય તેની ખાસ તકેદારી રાખવી તેમજ પ્રતિબંધીત દોરા તથા તુકકલ વિગેરેનો ઉપયોગ ન કરી સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રિય ભાવના બળવતર બનાવી આ તહેવારની ઉજવણી કરવા શુભકામના પાઠવી હતી.