રાજકોટ
News of Saturday, 12th January 2019

જાણીતા રમતવિદ્ બાલસિંહજી સરવૈયાનું દુઃખદ અવસાનઃ આજે બેસણું

ક્રિકેટ, ફુટબોલ, બેડમીન્ટન, ટેબલ ટેનીસના અનેક રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય ખેલાડીઓના ઘડવૈયા 'બાપુ'ના નિધનથી રમત જગતને આંચકોઃ ગઇ ૧૭મી તારીખે ઓચિંતા આવેલા બ્રેઇન સ્ટ્રોકની સારવાર કારગત ન નિવડીઃ રેલ્વે વર્તુળમાં ઘેરો શોક

રાજકોટ, તા., ૧૨: સૌરાષ્ટ્રના જાણીતા રમતવિદ્ બાલસિંહજી દેવીસિંહજી સરવૈયા (ઉ.વ.૮૯)નું આજ રોજ દુઃખદ અવસાન થતા રમત જગત અને રેલ્વે વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ગત ૧૭ મી તારીખે તેઓ ખુરશીમાં બેસી અખબાર વાંચી રહયા હતા ત્યારે આવેલા બ્રેઇન સ્ટોકની સારવાર દરમિયાન તેમનું આજે નિધન થયું હતું. સદ્ગતની અંતિમયાત્રા આજે બપોરે ૪.૦૦ વાગ્યે તેમના રેલનગર સ્થિત નિવાસસ્થાનેથી નિકળી પોપટપરા સ્થિત એફસીઆઇ ગોડાઉન પાસેના સ્મશાન ખાતે પહોંચી હતી જેમાં વિશાળ સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠીતો, સ્પોર્ટમેન અને રમત-ગમત પ્રેમીઓ જોડાયા હતા. સદ્ગતનું બેસણું આજે તા. ૧ર-૧-ર૦૧૯ને શનીવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટીટયુટ, કોઠી કંમ્પાઉન્ડ ખાતે રાખેલ છે.

૪૦ વર્ષ સુધી રેલ્વેમાં આસીસ્ટન્ટ પર્સોનલ ઓફીસર તરીકે દિર્ઘ સેવા આપી નિવૃત થયેલા બાલસિંહજી સરવૈયાના અવસાનના સમાચારથી સમગ્ર રેલ્વે તંત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેઓ અબાલ વૃધ્ધોમાં લોકચાહના ધરાવતા હતા. રેલ્વેની જેકશન ક્રેડીટ સોસાયટીના ડાયરેકટર તરીકે ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી. રાજકોટ રેલ્વેની પ્રખ્યાત રમત-ગમત સંસ્થા જગજીવનરામ સિનીયર રેલ્વે ઇન્સ્ટીટયુટના તેઓ સ્થાપક સેક્રેટરી હતા. ૧૯પ૬ થી ૩૦ વર્ષ સુધી તેઓ સતત આ પદ ઉપર રહયા હતા અને અનેક ખેલાડીઓના ઘડતરમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું.  જુના જમાનાના જાણીતા ટેબલ ટેનીસ ખેલાડી એવા બાલસિંહજી સરવૈયા સૌરાષ્ટ્ર રાજયના સિંગલ અને ડબલ્સના ચેમ્પીયન ખેલાડી હતા. રાજકોટ જીલ્લા ટેબલ ટેનીસ એસોસીએશનના સ્થાપક સેક્રેટરી તરીકે ૧૯૬૪ થી ર૦૧૬ સુધી જવાબદારી નિભાવી ટેબલ ટેનીસના વિકાસ માટે સતત સક્રિય તેઓ રહયા હતા.  ગુજરાત રાજય ટેબલ ટેનીસ એસોસીએશનના ભુતપુર્વ સેક્રેટરી દરજ્જે રાજકોટમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનીસ યોજવાનું શ્રેય પણ સ્વર્ગસ્થના શિરે રહેલું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ભુતપુર્વ વાઇસ પ્રેસીડેન્ટ અને ગર્વનીંગ બોડીના સ્થાપક સભ્ય, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના પસંદગીકાર, ઇન્ડીયન  વન-ડે ક્રિકેટ ટીમના લોકલ મેનેજર, રાજકોટ જીલ્લા બેડમીન્ટન એસોસીએશનના સ્થાપક સેક્રેટરી અને રાજય બેડમીન્ટન એસોસીએશનના ઉપપ્રમુખ, ગુજરાત રાજય ફુટબોલ ટીમના સિલેકટર સહિત અનેકવિદ્ રમત-ગમત સાથે તેઓ ખુબ જ ઓતપ્રોત રહી ચુકયા હતા.

બાલસિંહજી સરવૈયાના અવસાનથી તેમના જયેષ્ઠ પુત્ર વિક્રમસિંહ સરવૈયા(રાષ્ટ્રીયકક્ષાના બેડમીન્ટન, ટેબલ ટેનીસ ખેલાડી અને જેકશન ક્રેડીટ કો.ઓપ.સો.ના પુર્વ ડીરેકટર), વચેટપુત્ર મનહરસિંહ સરવૈયા(જાણીતા ટેબલ ટેનીસ-બેડમીન્ટન ખેલાડી અને નિવૃત બીએસએનએલ અધિકારી), નાના પુત્ર ઇન્દ્રજીતસિંહ સરવૈયા(રાષ્ટ્રીય કક્ષાના બાસ્કેટ બોલ ખેલાડી અને રેલ્વેના ડીસીટીઆઇ), પૌત્ર જયદીપસિંહ સરવૈયા(પુર્વ આંતરરાષ્ટ્રીય બેડમીન્ટન ખેલાડી અને રાજકોટ ઇન્ડોર સ્ટેડીયમના બેડમીન્ટન કોચ) સહિતનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. અનેક સંસ્થાઓએ સદ્ગતને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (૪.૯)

(11:49 am IST)