ત્રાસ અને બ્લેકમેઈલ કરવાના આક્ષેપ સાથે પત્ની વિરૂદ્ધ પતિની રજૂઆત
આરાધના સોસાયટીના અજયભાઈ કુંડલીયાની પોલીસ કમિશનરને લેખીત રજૂઆત...
રાજકોટ, તા. ૧૧ :. એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા અજયભાઈ કાંતીલાલ કુંડલીયાએ પત્નિ વિરૂદ્ધ ત્રાસ અને બ્લેકમેઈલ કરવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી છે. આરાધના સોસાયટી મેઈન રોડ પર રહેતા અજયભાઈ કાંતીલાલ કુંડલીયા (ઉ.વ.૫૨)એ પોલીસ કમિશનરને કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યુ છે કે, પોતે વૃદ્ધ માતા-પિતા તથા પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે સંયુકત કુટુંબમાં રહે છે. પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષ ૨૦૧૦માં પોતે કેવડાવાડી શેરી નં. ૪/૧૮માં રહેતા દિપ્તીબેન પીઠડીયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે અમારા સંયુકત કુટુંબમાં રહેવા આવેલ. લગ્નના દોઢ વર્ષ બાદ તેણે અલગ મકાન લઈ રહેવા જવા માટેની જીદ કરી વારંવાર ઝઘડાઓ કરવાનું શરૂ કરેલ પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સમજાવ્યુ હતું. બાદ ઘરકંકાસ કરવાનું ચાલુ રાખેલ બાદ પત્નીને શાંતિ અને કંકાસ નિવારવા માટે લગ્નના ૬ વર્ષ બાદ પછી પોતાની સાથે સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે શીવપાર્કમાં ફલેટમાં ભાડે રહેવા ગયા હતા પરંતુ ત્યાં પણ પોતાના નામે અલગ ફલેટ, બેંકમાં ફીકસ ડીપોઝીટ રાખવાના મુદ્દે દબાણ કરી ઝઘડા કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ત્રાસથી કંટાળી અને આ મામલે પોતાને ન્યાય અપાવવા માટે પોતે પોલીસ કમિશનરને લેખીત અરજી કરી છે.