તંત્રની જાહેર આરોગ્યનાં ચેડા સમાન બેદરકારી...
જાગનાથમાં પીવાનાં પાણી સાથે ગટરનું પાણી ભળી ગયુઃ ફરિયાદ નિકાલમાં ઠાગાઠૈયા
શેરી નં. ૧૦ માં ગંદા પાણીની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહીમામ
રાજકોટ તા. ૧૧ :.. શહેરમાં પીવાનાં પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી જવાની ફરીયાદો અવાર-નવાર ઉઠવા પામે છે. ત્યારે તેનાં નિકાલમાં તંત્રની અસહ્ય ઢિલાશ સામે લોકરોષ ઉઠવા પામે છે. આજ પ્રકારે જાગનાથમાં પણ છેલ્લા ૧ મહીનાથી ગંદા પાણીની સમસ્યા નહી ઉકેલાતાં તંત્રની આ જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન બેદરકારી સામે લોક રોષ જોવ મળી રહ્યો છે.
આ અંગે જાગનાથ પ્લોટ શેરી નં. ૧૦ નંા લત્તાવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ આ શેરીમાં છેલ્લા ૧ મહિનાથી પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી જતાં પ્રદુષીત પાણી વિતરણ થઇ રહયુ છે. આ અંગે મ્યુ. કમિશ્નરશ્રીને રૂબરૂ ફરીયાદ કરવા છતાં આ સમસ્યા યથાવત છે.
આમ લોકોનાં આરોગ્ય સાથે ચેડા સમાન આ બેદરકારી સામે લત્તાવાસીઓમાં જબરો રોષ ફેલાયો છે. અને આ વિસ્તારમાં વહેલી તકે શુધ્ધ પાણી વિતરણ કરાવવા ઉગ્ર માંગ ઉઠાવી છે.