રાજકોટ
News of Friday, 11th January 2019

લાલપરીના કોળી યુવાન સાગર જાદવનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ ૧૧ માસ પહેલા જ લગ્ન થયા'તા

ટીવી ચાલુ કરી અંદરથી દરવાજો બંધ કરી પગલું ભર્યુઃ દરવાજો તોડીને જોતાં લટકતો જોવા મળ્યો

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર લાલપરી મફતીયાપરામાં રહેતાં સાગર કરસનભાઇ જાદવ (ઉ.૨૫) નામના કોળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. અગિયાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

સાગરે સવારે પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી રૂમ અંદરથી બંધ કરી પંખાના હુકમાં સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મોડે સુધી સાગર રૂમમાંથી બહાર ન આવતાં મોટા ભાઇ વલ્લભભાઇ સહિતનાએ દરવાજો ખખડાવતાં દરવાજો ખોલવામાં ન આવતાં તોડી નાંખ્યો હતો. અંદર સાગર લટકતો જોવા મળતાં પરિવારજનોમાં દેકારો મચી ગયો હતો. ૧૦૮ના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ કાકડીયા અને અશ્વિનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સાગર બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. ગયા ફેબ્રુઆરીમાં જ તેના લગ્ન થયા હતાં. આવતા મહિને લગ્નની પહેલી એનીવર્સરી આવે એ પહેલા જ આ પગલું ભરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. તેની પત્નિ મનિષા હાલમાં સંક્રાંત કરવા માવતરે આણંદપર ગઇ છે. તેને જાણ થતાં તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ હતી.

(3:36 pm IST)