રાજકોટ
News of Friday, 11th January 2019

વાવડી સર્વે નં.૪૯ના ૫ કેસમાં ૩૬ આસામી આસામીઓને વેચી નખાયેલ જમીનનો કેસ રીવીઝનમાં લેતા કલેકટર : મોટો ખળભળાટ

૧૯૪૮માં કોઠારીયા સ્ટેટે દસ્તાવેજ લખી દીધા બાદ મુળ ગીરાસદર તેજુભા રામસંગે જમીનો વેચી નાખ્યાનો ધડાકો :૩૬ આસામીમાં અનેક મોટા માથા : તત્કાલીન મામલતદાર અને રાજકોટના ભૂતપૂર્વ ડે. કલેકટર સામે તોળાના આકરા પગલા :સરકાર સુધી મામલો પહોંચ્યો : એક મામલતદાર આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા : સનસનાટી :કુલ ૧ લાખ ચો.મી. જમીન કરોડોની કિંમતનો અંદાજ : મામલતદાર - પ્રાંતે અધિકાર ન હોવા છતાં ૫ કેસમાં જમીન જેને આસામીના નામે કરી દીધાનું કલેકટરની તપાસમાં ખુલ્યુ : હવે ૨૩ જાન્યુ.એ ખાસ સુનાવણી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ બરોબરનો ધોકો પછાડી વાવડી સર્વે નં.૪૯ની અંદાજે ૧ લાખ ચો.મી. જમીન કે જેની કિંમત કરોડોની થવા જાય છે અને જેમાં અગાઉ ૩ થી ૪ વખત ઉત્તરોતર દસ્તાવેજો થઈ ગયા છે અને અગાઉ આ જમીન અંગે જે તે વખતના રાજકોટના આસી. કલેકટર (આઈએએસ) શ્રી અંજુ શર્મા સમક્ષ કેસ ચાલ્યો હતો, તે કેસમાં કલેકટરે ઝીણવટભરી તપાસ કરી કુલ ૫ કેસમાં ૩૬ આસામીઓને વેચી નખાયેલ કરોડોની જમીનનો આ કેસ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લેતા અને તે અંગે આગામી ૨૩મીએ સુનાવણી રાખતા અને સંબંધિતોને નોટીસો ફટકારતા મોટો ખળભળાટ મચી ગયો છે.

આ કેસમાં તત્કાલીન મામલતદાર અને તત્કાલીન પ્રાંત અધિકારી સામે કલેકટરની તવાઈ ઉતરે એવી શકયતા હોવાનું અને આકરા પગલા તોળાઈ રહ્યાનું ટોચના સુત્રો ઉેમેરી રહ્યા છે. એટલુ જ નહિં આ બંને અધિકારીએ આ કેસમાં થઈને એટલે કે આ જમીનના કુલ ૫ કેસ અને તેને લાગતા વળગતા જમીન ખરીદનારાઓને ૧૦-૧૦ હજાર વારની બે અને ૫-૫ હજારની બે સહિત કુલ ૫ જમીનના ટુકડા અધિકાર ન હોવા છતાં જે તે આસામીઓને નામે કરી દીધાનો ધડાકો થયો છે. આ તમામ કેસ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઈ આગામી ૨૬મી જાન્યુઆરીએ ખાસ સુનાવણી રાખી છે. આ કેસ સંદર્ભે આજે એક મામલતદાર તો કલેકટર કચેરીએ દોડી આવ્યાનું અને કલેકટરની ચેમ્બરની બહાર આટાફેરા કરતા હોવાનું બહાર આવ્યું છે.

કલેકટર કચેરીના ટોચના સૂત્રોએ ઉમેર્યુ હતું કે જવાબદાર બંનને અધિકારીઓ તથા અન્ય જવાબદારો સામે કલેકટર દ્વારા આકરા પગલા તોળાઈ રહ્યા છે. આ કેસમાં મુળ ગીરાસદાર તેજુભા રામસંગે જમીનો વેચી નાખ્યાનો પણ ધડાકો કલેકટરની તપાસમાં થયો છે.

આ કેસમાં જે પાંચ પાર્ટમાં આસામીઓ રહ્યા છે. તેમાં તેજુભા રામસંગ, નટગવર પાનાચંદ ખખ્ખર, હિંમતભાઈ પાનાચંદ ખખ્ખર, મનસુખભાઈ પાનાચંદ ખખ્ખર, ગીરા કનૈયાલાલ, પરાગ કનૈયાલાલ, ધારશી ઝવેરચંદ હિરાભાઈ.

બીજા પાર્ટના કિર્તી છગનભાઈ દોશી, સુધા કિર્તીભાઈ દોશી, રમેશ વૃજલાલ ભીમાશંકર, નવીન મગનભાઈ ભીમાશંકર, જયંતિભાઈ રામજીભાઈ વાડોલીયા, નીરૂભા નાથુભા જાડેજા અને તેજુભા રામસંગ.

નવીનભાઈ જેઠાભાઈ મહેતા, સુનિલ ચુનીલાલ સાંગાણી, દિપ્તી ચુનીલાલ સાંગાણી, દિનેશ રામજીભાઈ ધામી, રાજેશ રામજીભાઈ ધામી, પ્રકાશ બાબુભાઈ વોરા, બાબુભાઈ એસ. શેઠ અને તેજુભા રામસંગ તથા રેતુલ ચંદ્રકાંત શાહ, નૈમીષ મનુભાઈ જોષી.

પાર્ટ-૪માં જય ઓઈલ મીલના ભાગીદાર ઉપરાંત બટુક ભીમાભાઈ સાવલીયા, સોહીલ રવજીભાઈ, હરજીભાઈ વોરા, પોપટ ધનજીભાઈ માલવીયા, સરલા રમણીકભાઈ, નયનાબા પ્રવિણચંદ્ર અને તેજુભા રામસંગ તથા પાર્ટ ૫માં જયંતિ જીવરાજભાઈ ગજ્જર, કિશોર જમનાભાઈ શેઠ, રમેશ સુંદરજી વડગામા અને તેજુભા રામસંગનો સમાવેશ થાય છે.

આ બધાને વાવડી સર્વે નં.૪૯ કે જેમાં ૧૯૪૮માં કોઠારીયા સ્ટેટે દસ્તાવેજ લખી આપેલ. મુળ સરકારી જમીન અને મુળ ગીરાસદાર તેજુભાએ ઉપરોકત આસામીઓને જમીન વેચ્યાનું અને તેમાં કુલ ૫ કેસમાં અધિકાર ન હોવા છતાં તત્કાલીન મામલતદાર અને પ્રાંત અધિકારીએ જમીન જે તે પાર્ટીને નામે કરી દીધી તે કુલ ૫ કેસ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ એકી સાથે રીવીઝનમાં લઈ સુનાવણી ૨૩મીએ રાખ્યાનું ખુલતા સન્નાટો પ્રસરી ગયો છે.

(3:11 pm IST)