રાજકોટ
News of Friday, 12th January 2018

ખોડલધામમાં ૨૧મીએ પ્રથમ વાર્ષિક પાટોત્સવ

૨૧ જાન્યુઆરીએ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણઃ એક વર્ષમાં લાખો લોકોએ કર્યા માઁ ખોડલના દર્શન : કન્વીનરો દ્વારા ધ્વજારોહણ, કન્વીનરોનો માર્ગદર્શન સેમીનાર, મહાયજ્ઞ તથા માતાજીને ધરાશે મહાથાળ અને સાંજે મહાઆરતીઃ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, કિરણ ગજેરા, યોગીતા પટેલ, સુખદેવ ધામેલિયા તથા એ ભાઈ...મનસુખભાઈ ખીલોરીવાળા જમાવટ કરશે : માઁ ખોડલને એક વર્ષમાં ૨૫૦ ધ્વજા અને ૧૦૦ થી વધુ વાઘા અર્પણ કરતા ભકતજનોઃ જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રી સહિતના તહેવારોમાં ખોડલધામમાં ઉમટી પડયો માનવ મહેરામણ

રાજકોટ, તા.૧૨ : લેઉવા પટેલના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયાને એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે. પ્રાણપ્રતિષ્ઠા રૂપે મહોત્સવને એક પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ૨૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહયો છે. ખોડધામ ટ્રસ્ટ દ્વારા ફરી ૨૧મી જાન્યુ.એ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧મી જાન્યુ. રવિવારે સવારે ધ્વજારોહણ, કન્વીનરોનો માર્ગદર્શન સેમીનાર, મહાયજ્ઞ તથા બપોરે માતજીને મહાથાળ અને સાંજ મહાઆરતી રાખવામાં આવી છે. સાથે-સાથે બપોરે એક ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાવામાં આવ્યું છે.

૨૧મી જાન્યુ. નજીક આવતા લેઉવા પટેલ સમાજમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન ખોડલધામ પરીસરમાં કર્યું છે. જેમાં સવારે ૯ વાગ્યે કન્વીનરો દ્વારા ધ્વજારોહણ કરાશે. આ ઉપરાંત આ દિવસે અન્ય ત્રણ ધ્વજા ભકતો દ્વારા ચડાવવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે કન્વીરનરો માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે માતાજીને અવનવી વાનગીઓથી ભરપૂર મહાથાળનો પ્રસાદ ધરવામાં આવશે.

આ ઉપરાંત બપોરે ૧ વાગ્યેથી ખોડલધામમાં લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં યોગીતા પટેલ, બ્રિજરાજદાન ગઢવી, કિરણ પટેલ, સુખદેવ ધામેલિયા તથા એ ભાઈ... મનસુખભાઈ ખીલોરીવાળા લોકોને લોકસાહિત્યનો રસથાળ પીરસાશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે.

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પહેલા કાગવડ ખાતે માઁ ખોડલધામમાં જે ઘડી ઉજવાઈ હતી એ સૌ કોઈએ આજે યાદ છે. પ્રાણ પ્રતિષ્ઠારૂપે યોજાયેલા પાંચ દિવસીય કાર્યક્રમમાં ૭૫ લાખથી વધારે સમાજના લોકોએ એકઠા થઈન. દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. પાંચ દિવસ દરમિયાન અનેક કિર્તીમાન પણ સ્થાપીત કરાયા હતા. ત્યારબાદ મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્લા મુકાતા એક વર્ષમાં દેશભરમાંથી લાખો લોકોએ ખોડલધામની મુલાકાત લીધી છે.

કાગવડ ખાતેના આ ખોડલધામ સાથે ૨૧જાન્યુ.નો અનેરી નાતો જોડાયો છે. આ મંદિરનો શિલાયન્સ ૨૧-૧-૨૦૧૭ના રોજ તથા શિલાપૂજનવિધિ ૨૧-૧-૨૦૧૨ના રોજ થઈ હતી. એટલું જ નહીં ૨૧-૧-૨૦૧૪ના રોજ એશિયાનો સૌથી મોટો કૃષિ મેળો અને ૨૧-૧-૨૦૧૫ના રોજ ૫૨૧ દિકરીઓના સમુહલગ્ન યોજાયા હતા. આ દરમિયાન  ઘણા કિર્તીમાન ખોડલધામના નામે રચાયા છે. દેશ અને વિદેશનું ધ્યાન ખોડલધામે ૨૧-૧-૨૦૧૭ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ખેચ્યું હતું. આ દિવસે તો જાણે કે લેઉવા પટેલ સમાજ એક થઈને માઁ ખોડલના સાંનિધ્યમાં આવ્યો હતો. લેઉવા પટેલ સમાજે એકતા અને સંગઠનની મીશાલ આ દિવસે બધાને બતાવી હતી.

(4:12 pm IST)