વધુ એક દૂષ્કર્મઃ લગ્નની લાલચ આપી રેલનગર અવધ પાર્કના ચિરાગ જેઠવાએ સગીરા પર અવાર-નવાર બળાત્કાર ગૂજાર્યો
બે વર્ષ સુધી લગ્નની વાતો કરી, છેલ્લે સગાઇનું નક્કી થયું...પણ બીજી છોકરી સાથે સગાઇ કરી લીધી! : રેલનગર અવધ પાર્કના ચિરાગને તેના માતા-પિતાએ મદદગારી કર્યાનો આરોપઃ મહિલા પોલીસે તપાસ આદરી
રાજકોટ તા. ૧૧: દૂષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રેલનગર અવધ પાર્કમાં રહેતાં એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતાં અને બે વર્ષ સુધી લગ્નની વાતો કર્યા બાદ સગાઇની વાત નક્કી કરી અને છેલ્લે સગાઇની ના પાડી બીજી કોઇ છોકરી સાથે સગાઇ કરી લેતાં અને તેના માતા-પિતાએ પણ સગાઇની વાત કરી હોવા છતાં દિકરાનું બીજે સગપણ કરાવી મદદગારી કરતાં મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસે ભોગ બનનાર ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતી સગીરાના દાદીમાની ફરિયાદ પરથી રેલનગર અવધ પાર્કમાં રહેતાં ચિરાગ બકુલભાઇ જેઠવા તેના પિતા બકુલભાઇ ગીરધરભાઇ જેઠવા, માતા વિજ્યાબેન બકુલભાઇ જેઠવા સામે આઇપીસી ૩૭૬ (૨), એન, ૩૨૩, ૪૦૬, ૧૧૪, પોકસો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીની પોૈત્રી સાથે આરોપી ચિરાગ છેલ્લા બે વર્ષથી લગ્ન કરવાની વાતો કરતો હતો. એ રીતે તેણે લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ આચરી લીધું હતું. ૨૧/૧૦ના રોજ તેણીને ચિરાગે મળવા બોલાવ્યા બાદ ગાળો દઇ મારકુટ કર્યો હતો. એ પછી સમાધાનના ભાગ રૂપે ચિરાગના માતા-પિતાએ સગાઇ કરાવી દેશે તેવી વાત કરી હતી.
પરંતુ ત્યારબાદ ચિરાગની સગાઇ બીજી છોકરી સાથે કરાવી નાંખી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હતી. આ બાબતે ચિરાગના માતા-પિતાને પુછાતાં તેણે હવે અમારા દિકરાની સગાઇ નથી કરવી અને તેના લગ્ન પણ તમારી પોૈત્રી સાથે નથી કરાવવા તેમ કહી દીધું હતું. અંતે મામલો મહિલા પોલીસમાં પહોંચતા પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એ. જે. લાઠીયા, રાઇટર શૈલેષભાઇ ખીહડીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.