રાજકોટમાં કોરોના કેસ વધતા રાજ્ય સરકારની કલેકટરને સુચના : 'તકેદારી'ના પગલા લ્યો
ટેસ્ટીંગ વધારવા, માસ્ક - સેનેટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્શના નિયમોનું પાલન કરાવો : આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં રાખવા તાકીદ
રાજકોટ તા. ૧૧ : દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં કોરોના કેસ વધતા આજે રાજ્યના સચિવ અને કલેકટરો સાથે મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ યોજી અને કોરોનાની સમીક્ષા કરી અને રાજકોટ શહેર - જિલ્લામાં તકેદારીના પગલા લેવા કલેકટર રેમ્યા મોહનને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બાબતે કલેકટર રેમ્યા મોહને જણાવેલ કે, રાજ્ય સરકારની સમીક્ષા બેઠકમાં રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના કેસમાં માત્ર આંશિક વધારો થયો છે ત્યારે સમગ્ર તંત્રને અત્યારથી જ સાબદુ કરી દેવાયું છે.
કોરોના ટેસ્ટીંગ વધારવા તેમજ બહાર ફરતા લોકોને માસ્ક - સેનીટાઇઝેશન, સોશ્યલ ડીસ્ટન્શીંગ સહિતના કોવિડ-૧૯ના નિયમોની અમલવારી કડક રીતે કરાવવા અધિકારીઓને સુચનાઓ આપી દેવાઇ છે.
ઉપરાંત આરોગ્ય તંત્રને પણ એલર્ટ મોડ ઉપર રાખી દેવાયાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું તેમજ શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વયં જાગૃતિ રાખી તહેવારો ઉજવવા કલેકટરશ્રીએ જાહેર અપીલ પણ કરી છે.