રાજકોટ
News of Wednesday, 11th September 2019

કાલે મૂર્તિ વિસર્જન યાત્રા સાથે ગણેશ મહોત્સવનું સમાપન

ગણપતિબાપા મોરીયા પૂડચ્યાવર્ષી લવકરીયા ... : બાપા આવતા વરસે વહેલા પધારજો તેવા ભાવ સાથે અપાશે વિદાય : દસ દસ દિવસ સુધી ભાવથી પૂજન કર્યા બાદ હવે ભારે હ્ય્દયે ભાવિકો દાદાની મૂર્તિને વિદાય આપશે : વિવિધ જળાશયો પર વિશેષ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૧ : 'ગણપતિબાપા મોરીયા, પૂડચ્યાવર્ષી લવકરીયા'... હે બાપા આવતા વર્ષે ફરી વહેલા પધારજો! તેવી પ્રાર્થના સાથે આજે ગણપતિ મહોત્સવનું સમાપન થશે. કાલે સવારે વિહવળ હ્ય્દયે દાદાની મૂર્તિની વિસર્જન યાત્રા નિકળશે.

એકધારી આટલા દિવસથી દાદાની ભકિત કર્યા બાદ મૂર્તિને વિદાય આપવાની ઘડી આવતા ભાવિકોના હૈયા ભાવવિભોર બની જશે.

શહેરભરમાં આયોજીત ગણેશ મહોત્સવના છેલ્લા દિવસના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

વિસર્જન સ્થળો પર ફાયર જવાનો તૈનાત

આ વખતે સારા વરસાદથી અનેક જળાશયો પાણીથી છલોછલ બન્યા છે.  પરંતુ દરેક સ્થળોએ વિસર્જનની છુટ નથી. ખાસ કરીને પીવાલાયક પાણીના જળસ્ત્રોતો પર મૂર્તિ વિસર્જનની મનાઇ ફરમાવાઇ છે. આજી ડેમની બાજુમાં આવેલ ખાણમાં તેમજ પાળ પાસેના તળાવમાં તેમજ વાગુદડ પાસેના રસ્તે અને હનુમાન ધારા પાસેની નદીમાં વિસર્જન કરવા ખાસ પ્રબંધ કરાયા છે. પોલીસ સુરક્ષા અને ફાયરના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આજી ડેમની બાજુમાં ગણપતિ દાદાની વિશાળ મૂર્તિઓ સમાય જાય તેવો મોટો ખાસ કુંડ તૈયાર કરાયાનું પણ તંત્રએ જાહેર કરેલ છે.

ગોલ્ડ કોઇન સોસાયટીમાં પૂનિત ભજન મંડળ દ્વારા ગણેશ વંદના

લક્ષ્મીનગર ચોક પાસે આવેલ ગોલ્ડ કોઇન સોસાયટીમાં સ્થાપન કરાયેલ 'ગોલ્ડ કોઇન કા રાજા' સમક્ષ પૂનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી. જેમાં જયેશભાઇ નથવાણી, જયપ્રકાશ બુધ્ધદેવ, મહેન્દ્રભાઇ માંડલીયા, મનસુખભાઇ વરીયા, માવજીભાઇ મોજીદ્રા, ભરતભાઇ ગોલાણીયા, વિજયભાઇ રાચ્છ, અરવિંદભાઇ ખાલપાડા, સંગીતાબેન સુચક, અરવિંદભાઇ જેઠવા, બાબુભાઇ પેંડાવાળા દંપતિ, ભરતભાઇ ગોંડલીયાએ લાભ લીધો હતો. ભરતભાઇ ડાભી પરિવાર અને લતાવાસીઓએ સૌ ભાવિક ભકતોને આવકાર્યા હતા.

ત્રિકોણ બાગે શિવસેના દ્વારા વિસર્જન યાત્રાનું સ્વાગત સન્માન

સમગ્ર શહેરમાં સ્થાપિત થયેલ ગણપતિદાદાની મુર્તિઓ શાસ્ત્રી મેદાન ખાતે એકત્રથઇ વિસર્જન માટે આગળ વધશે. આ વિસર્જન યાત્રા ત્રિકોણ બાગ ખાતે પહોંચે ત્યારે શિવસેના દ્વારા બપોરે ૧ વાગ્યે સ્વાગત સન્માન કરાશે.

કોઠારીયા કોલોનીમાં સાંજે છપ્પનભોગ દર્શન

માસ્તર સોસાયટી ૭/૩ ખાતે વિનાયક ગ્રુપ દ્વારા 'કોઠારીયા કોલોની કા મહારાજા' ના દરબારમાં આજે સાંજે છપ્પનભોગ દર્શન ખુલ્લા મુકાશે. કાલે તા. ૧૨ ના ગુરૂવારે સવારે યજ્ઞ પ્રારંભ થશે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ વિસર્જન યાત્રા માટેની તૈયારી કરાશે. ધર્મપ્રેમીજનોએ સાથે જોડાવા વિનાયક ગ્રુપના કિરણબેન વડગામા, સત્યદીપસિંહ જાડેજા, રાજુભાઇ વડગામા, જીતુભાઇ ડાભી, નિર્મલસિંહ જાડેજા, બાબુભાઇ, નીમેષભાઇ પરમાર, પારસભાઇ, અમીત ગેલાણી, દીપસિંહ પરમાર, પલ્લાભાઇ પરમાર તેમજ ઉર્જા ઉત્કર્ષ મહિલા સમિતિએ અનુરોધ કરેલ છે.

(3:45 pm IST)