પોપટપરા-હંસરાજનગર બન્યું મોટુ સરોવર!... મકાનો-વાહનો ડૂબ્યાઃ જેલ તરફનો રસ્તો પોલીસે સ્થગિત કર્યો
શહેરમાં અનરાધાર વરસેલા મેઘરાજાના કારણે પોપટપરા અને હંસરાજનગર વિસ્તારની હાલત ભારે કફોડી બની હતી. આ વિસ્તારો જાણે સરોવરમાં ફેરવાઇ ગયા હતાં. તસ્વીરો જોતાં વિશેષ કંઇ વર્ણન કરવાની જરૂર જણાતી નથી...પોપટપરા નાલા પાસે ભરાયેલા માથોળા પાણી જોઇ શકાય છે. પોપટપરા નાલાને અડીને આવેલા રેલ્વેના સિગ્નલ રૂમમાંથી એકટીવા બહાર કાઢવામાં આવતું આખુ ડૂબી ગયું હતું તે જોતાં પાણીનો ભરાવો કેટલો હતો તે જોઇ શકાય છે. આવા પાણીમાંથી પોપટપરા નાલામાંથી કોઇ પસાર ન થાય એ માટે પોલીસે રસ્તો સ્થગિત કર્યો હતો. પ્ર.નગર પોલીસનો કાફલો વરસતા વરસાદમાં ખડેપગે રહેલો જોઇ શકાય છે. એક તસ્વીરમાં આખી મારૂતિ વેગનઆર ડુબી ગઇ હતી તે જોઇ શકાય છે. હંસરાજનગર અને પોપટપરા નાલાની બરાબર સામે રહેતાં પરિવારજનોની હાલત અત્યંત કફોડી બની હતી. આ વિસ્તારના જાગૃત યુવાન જીતેન્દ્ર નાગદેવ, રેલ્વેના જાનીભાઇ અને આસપાસના પંદરેક મકાનોમાં પાણી ધસમસતા ઘુસી ગયા હતાં. આવી સ્થિતિ દર ચોમાસામાં નિર્માણ પામે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)