કર વસૂલાત માટે આવકવેરાનું આકરૂ પગલુ : ૧૮ લાખ ૭૪ હજારના સોનાના દાગીના વેચી ટેકસની વસૂલાત : રાજકોટના પરી જવેલર્સ ગ્રુપે ખરીદ્યુ
રાજકોટ : આવકવેરા વિભાગ દ્વારા કરવસૂલાતના અનેક પગલાઓ લઈ રહી છે ત્યારે ૨૦૦૫માં રાજકોટની એક પેઢીને ચૂકવવાનો થતો ૧૮ લાખ ૭૪ હજારનો ટેકસ ન ચૂકવતા આવકવેરા વિભાગના ટેકસ રીકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદાકીય પગલા લઈ આજે હરાજી કરવામાં આવી હતી. રાજકોટની પેઢી પાસેથી કબ્જે લેવાયેલ ૧૮.૭૪ લાખના સોનાના દાગીનાઓ જેમાં બંગળી, ચેઈન, વીંટી સહિતના અન્ય અલંકારોની હરાજી ઈન્કમ ટેકસ ઓફીસમાં યોજાઈ હતી. જેમાં રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ, સુરત મળી કુલ ૫૦થી વધુ ઈચ્છુક પાર્ટીઓએ રસ લીધો હતો. જેમાં રાજકોટની પરી જવેલર્સ ગ્રુપે તમામ સુવર્ણ અલંકારો ખરીદી લીધા હતા. આવકવેરા વિભાગે સોનાના દાગીના વેચી તેની નીકળતી કરપાત્ર રકમ ૧૮ લાખ ૭૪ હજાર કબ્જે કર્યા છે. ટેકસ રિકવરી કામગીરી એડીશ્નલ કમિશ્નર શ્રી અજીતકુમારસિંહાના માર્ગદર્શન તળે ટેકસ રીકવરી ઓફીસર ટી. એસ. ટીનવાલા અને અન્ય અધિકારીઓએ કરી હતી. પ્રસ્તુત તસ્વીરમાં આવકવેરા વિભાગના અધિકારીઓ અને હરરાજી સમયે ઉપસ્થિત લોકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)