સાધુવાસવાણી વિસ્તારમાં ૫.૨૭ કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરીનુ નિર્માણ : ૨૦મીએ વિજયભાઇ ખુલ્લુ મુકશે
રાજકોટ તા. ૧૧: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલની સામે સાધુવાસવાણી રોડ પાસે કુલ રૂ. ૫.૨૭ કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવે લછે. આ અદ્યતન પુસ્તકાલયનું આગામી તા. ૨૦મી જુલાઇએ ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સાથે રાજકોટના નાગરિકોને વધુ એક મોર્ડન લાઇબ્રેરીની સુવિધા પ્રાપ્ત થશે. તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ. કુલ ૩૫૦૦૦ ચો. ફુટનું બાંધકામ ધરાવતી આ લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડફલોર ઉપર વાંચનાલય , ઓફિસ , ડિસ્પ્લે એરીયા , મિટીંગ રૂમ , સ્ટોરેજ , રેફરન્સ રીડીંગ એરીયા , પીરીયોડીકલ રીડીંગ એરીયા , ન્યુઝપેપર રોકશન, રીસેપ્સન વેઇટીંગ , ચિલ્ડ્રન સેકશન , ઓપન એર થીયેટર , ઈન્ટરનેટ ઝોન , ડીજીટલ લાઇબ્રેરી , પ્રથમ માળે વાંચનાલય , સ્પે.રીડીંગ સેકશનની સુવિધા, બિજા માળે રીડીંગ ઝોન , ઓડીઓ વિઝયુઅલ રૂમ અને ત્રિજા માળે સ્ટોરની સુવિધા આપવામાં આવેલ છે. આ લાઇબ્રેરીમાં રૂ. ૩૬ લાખના ખર્ચે ૩૦,૦૦૦ પુસ્તકો રૂ. ૧લાખના ખર્ચે ૪૦૦૦ ડીવીડી અને રૂ. ૧૦ લાખના ખર્ચે ગેમ્સ, પઝલ્સ અને રમકડા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની પાંચ લાઇબ્રેરીમાં ૧.૭૫ લાખના પુસ્તકો ઉપલબ્ધ છે.