છેવાડાના રેલનગરમાં ચોર-લુંટારૂઓનું રાજઃ પોલીસ ચોકી ઉભી કરવી અત્યંત જરૂરીઃ ગાયત્રીબા વાઘેલા
પોલીસ કમિશ્નરથી લઇ મુખ્યમંત્રી સુધી રાત્રે ૮ થી સવાર સુધી પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને ચોકી કાર્યરત કરવા અનેક રજુઆતો કરી છે છતાં પ્રજાની કોઇને દરકાર નથી
રાજકોટ, તા., ૧૧: સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે-દિવસે કથળતી જાય છે. અપુરતો પોલીસ સ્ટાફ કાર્યશીલ અને ફરજ નિષ્ઠ અધિકારીઓનો અભાવ હોવાના કારણે શહેરની ગુનાખોરી ઉપર પોલીસ તંત્રની કોઇ ધાક રહી નથી અને શહેરની પોલીસ માત્ર દારૂ-જુગાર અને ડબ્બાના ધંધામાં તો કયાંક જમીન-મકાનનાં કારોબારમાં નવરી થતી નથી. જેના કારણે શહેરમાં દિવસે-દિવસે ચોરી-લુંટફાટ, ચીલઝડપ, બહેનોની છેડતી જેવા અનેક ગુનાઓ બનતા રહે છે. આ ગુન્હાઓ ડામવા માટે પોલીસ પાસે ખબરીનું નેટવર્ક હોવું જોઇએ તે નેટવર્ક છે નહીં. અને ગુનેગારો પાસે પોલીસનું સંપૂર્ણ નેટવર્ક હોય તે રીતે સમગ્ર શહેરમાં ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે.
શહેરનાં વોર્ડ નં. ૩માં છેવાડાનો વિસ્તાર એવા રેલનગર-પોપટપરા-રૂખડીયાપરા તેમજ મુખ્યમંત્રી અને વડાપ્રધાન આવાસ યોજનાનાં વિસ્તારોમાં જે રીતે વસ્તી વધી છે અને આ વિસ્તારની ભૌગોતિક પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગનો ખેતરાવ તેમજ રેલ્વેની માલિકીનો અવાવરૂ વિસ્તાર આવેલો હોય. આ વિસ્તારનાં અમુક રસ્તાઓ રાત્ર-૮ પછી સુમસામ બની જતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં ચોરી-લૂંટફાટ જેવી અનેક ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
જે અંગે શહેરનાં પોલીસતંત્રને તેમજ રાજયના મુખ્યમંત્રીને જાગૃત કોર્પોરેટરનાં નાતે આ વિસ્તારમાં એક અલગ પોલીસ સ્ટેશનની જરૂરીયાત હોય જે માંગણી સ્વીકારવા તેમજ તાત્કાલીક ધોરણેસ સાંજના ૮ થી વહેલી સવારે સુધી રાઉન્ડ ધ કલોક પોલીસે પેટ્રોલીંગ કરવા તેમજ ઘોડેસ્વાર પોલીસનો બંદોબસ્ત ફાળવવા પણ અનેક વખત રજૂઆતો કરી છે છતાં નિંભરતંત્ર ધ્યાન દેતુ નથી. ત્યારે આવા બનાવો બનતા અટકશે નહીં તો ના છુટકે વિસ્તારનાં લોકોને સામે રાખી જવાબદારો સામે આંદોલન કરવામાં આવશે. (૪.૧૩)