૧૯મીએ મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડઃ જમીનની ૫ દરખાસ્તોનો લેવાશે નિર્ણય
ભાજપના ૧૨ કોર્પોરેટરોએ ૧૫ પ્રશ્નો રજુ કર્યાઃ કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ ૨૬ પ્રશ્નો રજુ કર્યાઃ જનરલ બોર્ડમાં કુલ ૪૧ પ્રશ્નોની થશે ચર્ચાઃ જગ્યા રોકાણ, બાંધકામ, આવાસ, ટ્રાફીક, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, વેરા વસુલાત સહિતની બાબતોએ પ્રજાના પ્રશ્નો જનરલ બોર્ડમાં રજુ કરતા કોર્પોરેટરો : આઈ-વે પ્રોજેકટમાં કેમેરા ખરીદી અને વોકર્સ ઝોન બંધ કરવા બાબતે ગાયત્રીબા વાઘેલાએ પ્રશ્નો ઉઠાવ્યા
રાજકોટ, તા. ૧૧ :. આગામી તા. ૧૯મી જૂને શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. જેમાં જમીનની ૫ જેટલી દરખાસ્તો સહિત કુલ ૯ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાના છે. તેમજ આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરોએ પુછેલા ૧૫ જેટલા અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ પુછેલા ૨૬ જેટલા એમ કુલ ૨૧ કોર્પોરેટરો પુછેલા ૪૧ પ્રશ્નોની ચર્ચા થનાર છે. જો કે બોર્ડમાં પ્રશ્નોત્તરીનો સમય માત્ર એક કલાક હોય છે. આથી સૌ પ્રથમ રજુ થયેલ જગ્યા રોકાણ તથા ગાર્ડનને લગત પ્રશ્નોની ચર્ચા થઈ શકશે.
આ અંગે એજન્ડામાં પ્રસિદ્ધ થયેલ વિગત મુજબ ૧૯ તારીખના જનરલ બોર્ડમાં પોપટપરામાં આવાસ યોજનાનુ નામકરણ, કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળની આવાસ યોજનાનું નામકરણ, રૈયા ચોકડી બ્રીજનું નામકરણ કરવા, ભાવનગર રોડ કપાતના ૩ અસરગ્રસ્તોને વૈકલ્પીક વળતર આપવા, ગાંધી મ્યુઝિમય માટે બનાવાયેલ ખાનગી કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણૂક કરવા, મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા અને સફાઈ કામદારોની ભરતીના નિયમો સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે.
દરમિયાન કોર્પોરેટરોએ પ્રજાના કુલ ૪૧ પ્રશ્નો જનરલ બોર્ડમાં રજુ કર્યા છે. જેમાં (૧) રૂપાબેન શીલુએ જગ્યા રોકાણ (૨) ઘનશ્યામસિંહ જાડેજાએ બાગબગીચા (૩) સંજય અજુડીયાએ અને નિતીન રામાણીએ બાંધકામ તથા વોટર વર્કસ (૪) જાગૃતિબેન ડાંગરે ફાયર બ્રિગેડ (૫) જયમીન ઠાકરે આવાસ યોજના (૬) જયાબેન ટાંક ટ્રાફીક (૭) મનસુખ કાલરીયા પાણી વિતરણ (૮) અંજનાબેન મોરઝરીયા શોપ વિભાગ (૯) અશ્વિન ભોરણીયા ભૂગર્ભ ગટર (૧૦) મુકેશ રાદડીયા અને વિજયાબેન વાછાણીએ ટાઉન પ્લાનીંગ (૧૧) શિલ્પાબેન જાવીયા આરોગ્ય (૧૨) મનીષ રાડીયા સાંસ્કૃતિક વિભાગ (૧૩) મીનાબેન પારેખ સ્ટ્રીટ લાઈટ (૧૪) ડો. દર્શિતાબેન શાહ આરોગ્ય (૧૫) માસુબેન હેરભા બાંધકામ-વેરા વસુલાત (૧૬) જ્યોત્સનાબેન ટીલાળા રોશની (૧૭) ઉર્વિશાબા જાડેજા વેરા વસુલાત (૧૮) અતુલભાઈ રાજાણી ફાયર બ્રિગેડ વગેરે પ્રશ્નો રજુ થશે.