વાવાઝોડાને કારણે રાજકોટ જીલ્લાના ૩૫ ગામડા હાઈએલર્ટ જાહેર
એવી સ્થિતિમાં ૭૫ હજારથી વધુ લોકોનું સ્થળાંતર થઈ શકેઃ રાજકોટમાં એનડીઆરએફ સહિત કુલ ૧૭ બોટ તૈનાતઃ ૨II વાગ્યે ચીફ સેક્રેટરીની વીસી : વાવાઝોડુ કાલે રાત્રે ૩II થી ૪ની વચ્ચે મહુવા-પોરબંદર વચ્ચે હીટ કરશેઃ સ્ટેટ ડીઝાસ્ટરની બે ટીમ રાજકોટ-ગોંડલમાં સ્ટેન્ડ ટુ
રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે વાયુ વાવાઝોડુ કાલે રાત્રે ૩II થી ૪ ની વચ્ચે મહુવા-પોરબંદરના દરીયા વચ્ચે હીટ કરશે.
તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટમાં એનડીઆરએફની ટીમ સહિત કુલ ૧૭ બોટ એલર્ટ રખાઈ છે. એનડીઆરએફની ટીમ વડોદરાથી રાજકોટ બપોરે ૩ વાગ્યે આવી પહોંચશે અને ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રહેશે.
જ્યારે સ્ટેટ ડીઝાસ્ટરની બે ટીમ રાજકોટ ઘંટેશ્વર ખાતે અને ગોંડલ ખાતે સ્ટેન્ડ ટુ રખાઈ છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે આજે બપોરે ૨ થી ૨II વચ્ચે રાજ્યના ચીફ સેક્રેટરી સાથે વાવાઝોડા અંગે વીસી યોજાશે. કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે, રાજકોટ જીલ્લાના ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલના ૩૫ જેટલા ગામડાને હાઈએલર્ટ કરાયા છે.પૂર કે એવી વિકટ પરિસ્થિતિમાં લો-લાઈન એરીયામાંથી કુલ ૭૫ હજારથી વધુનુ સ્થળાંતર થઈ શકે છે. એવી સંભાવના છે, હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી.
કલેકટરે ઉમેર્યુ હતુ કે દરેક પ્રાંત અધિકારી લેવલે પાણી પુરવઠા, આરોગ્ય, વીજતંત્ર, ફુડ સપ્લાય, સરપંચ, તાલુકાના અધિકારીઓ સાથે મીટીંગોનો દોર શરૂ કરાયો છે અને સાવચેત પણ કરી દેવાયા છે.