ભાવનગરના જીવદયા પ્રેમી રાજૂભાઇ ચૌહાણનું રાજકોટમાં સન્માન
ભાવનગર તા. ૧૧ :.. ઇલેકટ્રોનીક કોલર ગ્રુપનાં પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઇન્દ્રસિંહજી રાયજાદા દ્વારા તા. ૯ નાં રોજ સમગ્ર ગુજરાતભરના તમામ જીવદયા પ્રેમી ભાઇઓ તથા બહેનોનું ભવ્ય સન્માન રાજકોટ ખાતે કરવામાં આવ્યું. આ યોજવામાં આવેલ સમારંભમાં દરેક જિવદયા પ્રેમીઓને શાલ, ફુલહારથી સન્માનવામાં આવ્યા હતાં. જેમાં ભાવનગરના શ્રી રાજૂભાઇ ચૌહાણ (ગીતા ઇલેકટ્રીકવાળા) જેઓનું સન્માન કરવામાં આવેલ હતું અને તેમનું મુખ્ય કારણ તેમની પક્ષીઓની સારવાર તેમજ બચ્ચાઓની બિમારી, અકસ્માતમાંથી બચાવી અનેક પક્ષીઓને જીવતદાન આપી ઉછેરી ઉડતા કર્યા છે. અને હાલમાં પણ તેઓ પક્ષીઓની ખૂબ જ સેવા કરે છે. અને હાલમાં તેઓ ૪૦૦ થી પ૦૦ જેટલા પક્ષીઓને સારવાર કરી ઉછેરી રહ્યા છે. જે એક ગુજરાતનું ગૌરવ કહેવાય અને આપણા માટે એક મિશાલ કહેવાય. તથા ખેડૂત મિત્ર પ્રહલાદસિંહ જાડેજાએ શ્રી રાજુભાઇને પક્ષીઓનું સુંદર મજાનું ડબલમાળનું ઘર આપી સન્માન કરેલ હતું. આ પહેલા આ ગ્રુપ દ્વારા ગયે વર્ષે આપણા ભાવનગરનાં લોકલાડીયા અને જીવદયા પ્રેમી, માળનાથ ગ્રુપના શ્રી હરિભાઇનું સન્માન પણ આવી જ રીતે બોટાદ ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત શહેરના પ્રતિષ્ઠિતલોકો, દરેક ન્યુઝ ચેનલવાળા, તથા આકાશવાણીના અધિકારીશ્રીઓની હાજરી જોવા મળી હતી. તથા તેઓનું પણ આ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.