રાજકોટના ૬૭ વર્ષના યાસ્મિનબેન હિંગરોજાએ કોરોનાને હરાવ્યો
રાજકોટઃ 'ચાર-પાંચ દિવસથી શરદી, તાવ રહેતા હતાં, દવાઓ લીધી પણ સારૂ નહોતુ થતું. કોરોના ટેસ્ટ ત્રણ ત્રણ વાર કરાવ્યા પણ રિપોર્ટ નેગેટિવ આવતો હતો. અંતે સિટિ સ્કેન કરાવ્યો તો કોરોનાનું સંક્રમણ આવ્યું. જોકે તોય કોરોનાની સારવાર ઘરે જ કરતાં હતા. પરંતુ અચાનક ઓકિસજન લેવલ ૮૫ થઇ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે એટલે ત્રણથી ચાર ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા ગયા. પરંતુ આ એક પણ હોસ્પિટલમાં જગ્યા ન હતી. અંતે સિવિલ હોસ્પિટલમાં ગયા. ત્યાં એક કલાકમાં જ અમારો વારો આવી ગયો. અને મને સમરસ હોસ્ટેલની હોસ્પિટલમાં દાખલ કરવાનું કાગળ કાઢી આપ્યો. ત્યા પાંચ દિવસ સાજી થઇ જાવ એવી અસરકારક મારી સારવાર કરાઇ હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઇને મારી ઘરે પરત ફરી છું.'
આ વાત કરે છે રાજકોટમાં રહેતા ૬૭ વર્ષના યાસ્મિનબેન દાદુભાઇ હિંગરોજા. યાસ્મિનબેનને ડાયાબિટિસ-બીપી બોર્ડર ઉપર રહેતા હતા. બાકી તેમને કોઇ બિમારી ન હતી. બે દીકરા, વહુ, તેમના સંતાનો સહિત યાસ્મિનબેનનો દસ વ્યકિતઓનો પરિવાર હતો. તેઓ ઘરે જ રહી સ્વસ્થ થવાની કોશિષ કરી હતી. ડોકટરોએ લખી દીઘેલી કોરોનાની દવાનો કોર્ષ તેઓ કર્યો હતો. પરંતુ તે અકસીર ન નિવડયો. એટલે સમરસમાં દાખલ થયા હતા.